મોરબીના મમુદાઢીની હત્યા કેસમાં પકાયેલા આરોપી રફીક માંડવીયા સહિત પાંચના ૨૦ મી સુધી રિમાન્ડ મંજૂર
નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને મોરબી જિલ્લામાં વેક્સીનેશનનું મહા અભિયાન
SHARE
નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને મોરબી જિલ્લામાં વેક્સીનેશનનું મહા અભિયાન
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિત્તે મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોરોના વેક્સીનેશનનું મહા અભિયાન હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં ૩૦૧ વેક્સીનેટર દ્વારા વેક્સીનેશનની કામગીરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં ૫૧ જેટલી ટીમોને હાઉસ ટુ હાઉસની કામગીરી પણ સોંપવામાં આવી છે.
આ અંગે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલે મીડિયાકર્મીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, હાલે સમગ્ર ગુજરાતમાં કોરોના વેક્સીનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય અગ્રેસર છે અને તેમાંય મોરબી જિલ્લાની કામગીરી પણ સંતોષજનક રહી છે. ત્યારે તા. ૧૭-૯ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને સમગ્ર જિલ્લામાં તમામ ૫ તાલુકા અને ૪ નગરપાલિકા સ્તરની કામગીરી માટે માઇક્રો લેવલની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં લોકોમાં રહેલ ધાર્મિક ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધા દૂર કરીને વેક્સીનેશનનું મહત્વ સમજાવવામાં આવશે.
સમગ્ર કામગીરી માટે સમગ્ર જિલ્લામાં ૩૦૧ જેટલા વેક્સીનેશન સેન્ટરમાં તાલુકાઓમાં ૨૪૫ અને નગરપાલિકા વિસ્તારમાં ૫૬ વેક્સીનેશન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧૨ જેટલાં મોબાઇલ વેક્સીનેટરની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જિલ્લામાં ૫૧ જેટલી ટીમોને હાઉસ ટુ હાઉસની કામગીરી પણ સોંપવામાં આવી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા ૪૦ હજાર જેટલા વેક્સીનના ડોઝ પણ ફાળવવામાં આવ્યા છે. હાલે સમગ્ર મોરબી જિલ્લામાં ૬૭% વેક્સીનેશનની કામગીરી પૂર્ણ થઈ હોવાનુ પણ કલેકટર જે.બી.પટેલ દ્વારા જણાવાયું હતું
આ કામગીરીને સફળતાપૂર્વક પાર પાડવા માટે જિલ્લાના તલાટી, બીએલઓ, આંગણવાડી વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, મેલ હેલ્થ વર્કર, શિક્ષકો સહિતનો સ્ટાફ જોડાશે. મોરબી જિલ્લામાં ૧૮ વર્ષથી ઉપરની વયના જેનો પ્રથમ ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ લોકો અને જેમના બીજા ડોઝની તારીખ આવી ગઇ હોય તેવા તમામ લોકોએ વેક્સીન લઇને વહિવટી તંત્રની કામગીરીમાં જોડાવવા અને વેક્સીન લઇને કોરોના સામે રક્ષણ મેળવવા જિલ્લા કલેક્ટર જે.બી. પટેલે અપીલ કરી છે. આ સમયે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, અધિક કલેક્ટર એન.કે. મુછાર પણ હાજર રહ્યા હતા.