મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ રેલવે ભરતી માટે માર્ગદર્શનલક્ષી સેમિનારનું આયોજન
મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૭ મી ફેબ્રુઆરીએ યોજાશે
SHARE
મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૭ મી ફેબ્રુઆરીએ યોજાશે
જિલ્લા કક્ષાના પ્રશ્નો/ ફરિયાદો અંગેની અરજી તા.૧૦ ફેબ્રુઆરી સુધીમાં સંબંધિત કચેરીને કરવાની રહેશે. લોકોની ફરિયાદો કે પ્રશ્નોના નિવારણ માટે મોરબી જિલ્લા કક્ષાએ યોજાતો ફેબ્રુઆરી-૨૦૨૫ માસનો ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા. ૨૭/૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. જેમાં જિલ્લા કલેકટર અને સંબંધિત અધિકારીગણ લોકોના પ્રશ્નો સાંભળશે.
આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના પ્રશ્નો કે ફરિયાદો આગામી તા. ૧૦/૨ સુધીમાં સંબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીના વડાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમના મથાળા સાથે અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે જો ગ્રામ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ. તે અરજી અનિર્ણિત હોય, અગાઉ સંબંધિત ખાતામાં કરેલી રજૂઆતનો આધાર રજૂ કરવો તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુતરની નકલ અરજીની સાથે રાખવી. અરજદારે અરજી કરતી વખતે તેમાં પોતાનું નામ, સરનામું અને ફોન નંબર દર્શાવવાના રહેશે. આ અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. સ્પષ્ટ અને મુદાસરની સમજી શકાય તેવી યોગ્ય આધારો સાથે રજૂ કરેલી અરજી જ ધ્યાનમાં લેવામાં આવશે.
આ ઉપરાંત અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાના રહેશે. આ કાર્યક્રમમાં અરજકર્તાનો પ્રશ્ન પોતાનો જ હશે તો જ ધ્યાનમાં લેવાશે. અન્યના પ્રશ્ન, સરકારી કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નો, કોર્ટ મેટરને લગતા પ્રશ્નો, દાવાઓ, અસ્પષ્ટ અને અસંદિગ્ધ હોય તેવી, સુવાચ્ય ન હોય તેવી, પેન્શન, રહેમરાહે નોકરી, આક્ષેપો તથા અંગત રાગદ્વેષને લગતા પ્રશ્નો તેમજ અગાઉના જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેવાઈ ગયેલા પ્રશ્નો ધ્યાનમાં લેવામાં આવશે નહીં.તેમજ સુનિશ્ચિત તારીખ બાદ આવેલી અરજીઓ પણ ધ્યાનમાં લેવામાં નહીં આવે. જેની મોરબી જિલ્લાના તમામ અરજકર્તાઓને ખાસ નોંધ લેવા અંગે નિવાસી અધિક કલેક્ટર એસ.જે.ખાચર, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.