હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું
SHARE
હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું
હળવદ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાનમ્ સંચાલિત સરસ્વતી શિશુ મંદિરના આંગણે કેન્યા સ્થિત સેવાભાવી અને સમાજહિતૈષી શ્રી નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન’ સન્માન અર્પણ કરવાનો ભવ્ય સમારોહ યોજાયો હતો. સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની પ્રેરણા તથા ગોવિંદભાઈ ધોળકિયાના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તથા બ્રહ્મ સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હળવદ તાલુકાના માથક ગામના ગરીબ બ્રહ્મ પરિવારમાં તા. 18/8/1961ના રોજ માતુશ્રી મુક્તાબેન અને ચુનીલાલ રાવલને ત્યાં જન્મેલા નરેન્દ્રભાઈનું પ્રાથમિક શિક્ષણ માથક ગામે અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ સુરેન્દ્રનગર ગુરુકુળમાં થયું. સ્કૂલનું શિક્ષણ ભુજ સ્વામિનારાયણ ગુરુકુળમાં પૂર્ણ કર્યું.શરૂઆતમાં ભુજ સ્વામિનારાયણ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપ્યા બાદ આફ્રિકા નાયરોબી સ્વામિનારાયણ મંદિરના પૂજારી તરીકે ગયા. ત્યાંથી જ તેમણે વ્યવસાયની શરૂઆત કરી. સહસ, શૌર્ય અને મહેનતથી આગળ વધી આજે તેમની કંપનીનું 40,000 કરોડનું ટર્નઓવર છે. તેઓ આફ્રિકન દેશોમાં સૌથી વધુ ટેક્સ ભરનાર વ્યક્તિ છે - વર્ષે 200 કરોડ રૂપિયા.
સાથે સાથે તેઓ હજારો બાળકોને શિક્ષણ, ભૂખ્યાને ભોજન અને રાષ્ટ્રની સેવા જેવા અનેક સેવાકીય કાર્યો પણ કરે છે. આ કાર્યક્રમમાં પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી, શિક્ષણવિદ્ સાંઈરામ ભાઈ દવે, લવજીભાઈ બાદશાહ, ડો. ભાડેશિયા , ધર્મેશભાઈ જોશી, બળવંતભાઈ જાની, પૂર્વ મંત્રી શ્રી જયંતીભાઈ કવાડિયા, ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત હળવદની સ્વૈચ્છિક, સેવાભાવી અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ગામોમાંથી બ્રહ્મ સમાજના આગેવાનોએ હાજરી આપી નરેન્દ્રભાઈને સન્માન અર્પણ કર્યું હતું.
સન્માન સમારોહ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ નરેન્દ્ર રાવલના સેવાકીય કાર્યો, સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને વિવિધ ક્ષેત્રોમાં આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી.પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદજીએ આશીર્વચનમાં કહ્યું: સમાજે પોતાના આવા રત્નોની કદર કરવી જોઈએ અને તેમની સેવાભાવનાને પ્રોત્સાહન આપવું જોઈએ. તેમણે નરેન્દ્રભાઈના સેવાકીય યોગદાનને બિરદાવી આશીર્વાદ આપ્યા.સંસ્થાના પ્રમુખ ઘનશ્યામભાઈ દવેએ સ્વાગત પ્રવચન કર્યું. સરસ્વતી શિશુ મંદિરની દીકરીઓ દ્વારા મહાનુભાવોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું