મોરબીના પાડાપુલ નીચે નદીના પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત
SHARE
મોરબીના પાડાપુલ નીચે નદીના પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત
મોરબીના પાડાપુલની નીચે નદીના પટમાં રહેતા મૂળ મહેસાણાનો યુવાન પાડાપુલ નીચે આવેલા નદીના પાણીમાં કોઈ કારણોસર ડૂબી ગયો હતો. જેથી તેનું મોત નિપજયુ હોય તેના મોટાભાઈ દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા આ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી વિગતો પ્રમાણે મૂળ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કડી રેલ્વે સ્ટેશન ખાતે આવેલ પઠાણી ચાલી ખાતે રહેતા અને હાલ મોરબીના પીપળી ગામ પાસે આવેલ શિવપાર્ક સોસાયટીમાં રહેતા રણછોડભાઈ જીવાજીભાઈ રાઠોડ નામના (૫૨) વર્ષના આધેડે પોલીસ સ્ટેશન ખાતે જાહેર કર્યું હતું કે તેમનો નાનો ભાઈ રમેશભાઈ જીવાજીભાઈ રાઠોડ ઠાકોર (ઉમર ૩૮) રહે. રેલ્વે સ્ટેશન પાસે પઠાણી ચાલી કડી જીલ્લો મહેસાણા વાળો મોરબીના પાડાપુલની નીચે આવેલ મચ્છુ નદીમાં પાણીમાં ડૂબી ગયો હતો અને ડૂબી જવાથી તેનું મોત નિપજેલ છે.બનાવની જાણ થતા મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડાયો હતો. અને બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઈ ચૌહાણ દ્વારા આ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
કોપરના શંકાસ્પદ જથ્થા સાથે એક પકડાયો
મોરબી તાલુકા પોલીસ સ્ટાફ રાઉન્ડમાં હતો તે દરમ્યાનમાં ઘુંટુ ગામની સીમમાં કેનાલ પાસે ૬૬ કેવીના સબ સ્ટેશન પાસેથી રીક્ષા નંબર જીજે ૩૬ વી ૭૭૧૦ લઈને એક ઇસમ નીકળ્યો હતો.જેને અટકાવીને તેનું નામ પૂછવામાં આવતા તેણે પોતાનું નામ રમેશ મનુભાઈ વાઘેલા દેવીપુજક (૨૮) રહે.શક્તિપરા હસનપર વાંકાનેર હોવાનું જણાવ્યું હતું અને તેની રીક્ષાની પાછળની સીટમાં બે બાચકા ભરેલા હોય અને તે બાચકાઓમાં કોપરના વાયર ભરેલા જોવા મળ્યા હતા.જેથી હાલ કોપર વાયરનો જથ્થો કોનો છે ? ક્યાંથી લાવ્યા છે ? તે સહિતની દિશામાં આગળની તપાસ માટે પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તે દિશામાં આગળની તપાસ શરૂ કરી છે.
ફિનાઇલ પી જતા સારવારમાં
મોરબીના વાવડી રોડ કારીયા સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારની ૧૫ વર્ષની નાઝમીન ગુલમામદભાઈ ભટ્ટી નામની સગીરા કોઈ અકળ કારણોસર ફીનાઇલ પી ગઈ હોય તેને સારવાર માટે લઈ જવામાં આવી હતી અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસને જાણ થતા તપાસ કરવામાં આવી હતી.જ્યારે પંચાસર ચોકડી પાસે મેંગણીની વાડી ખાતે રહેતા પ્રકાશ કાંતિલાલ કણજારિયા નામના ૨૭ વર્ષના યુવાનને બાઈક લઈને જતા સમયે અકસ્માતમાં ઈજા થતાં સારવારમાં લઈ જવાયો હતો. તેમજ મોરબીના મકરાણીવાસ નાની બજાર વિસ્તારમાં રહેતા મુસ્તુફા હાજીઅયુબભાઈ બ્લોચ નામના ૫૭ વર્ષના આધેડને મકરાણીવાસથી મચ્છુ બારીના રોડ બાજુ જતા રસ્તે બાઈક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં ઈજા થતા સારવાર માટે લઈ જવાયા હતા.
આધેડ સારવારમાં
ધ્રોલની વૃંદાવન સોસાયટી ખાતે રહેતા ભાણજીભાઈ ટી.સવસાણી નામના ૫૬ વર્ષના આધેડ ટંકારાના ખાખરા ગામેથી જતા હતા ત્યાં આશાપુરા હોટલ પાસે મોટરસાયકલ અજાણ્યા પ્રાણી સાથે અથડાયું હતું જે બનાવમાં ઇજા જતા તેમને અત્રે આયુષ હોસ્પિટલમાં સારવારમાં લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસે તપાસ કરી બનાવ અંગે ટંકારા પોલીસની જાણ કરી હતી.