મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
SHARE
મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. હરિનામના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાએ અનેક સ્થળોએ હરિનામ મંત્રની અલખ જગાવી હજારો લોકોને હરિનામનો માર્ગ દર્શાવ્યો હતો. “કોઈ રીતે હરિનામ લ્યો અને કોઈ રીતે હરિનામ લેવડાવો, એથી જ સર્વ પરિવારનું કલ્યાણ થાય” એ જ તેમની એકમાત્ર નેમ હતી.
ફાગણ સુદ-૧૦, શનિવાર તા. ૧૬-૩-૧૯ના રોજ સંતશ્રી નાથાબાપા સાકેતધામ સિધાવ્યા હતા.તેમના અવસાનને આજે ૭ વર્ષ પૂર્ણ થતા ફાગણ સુદ-૧૦, ગુરુવાર તા. ૨૬-૨-૨૦૨૬ના રોજ ૭ મી પુણ્યતિથિ નિમિત્તે આ વિશેષ ધાર્મિક આયોજન હાથ ધરવામાં આવ્યું છે.આ ૯ દિવસીય મહાયજ્ઞ અંતર્ગત અખંડ શ્રી રામનામ જપ સાથે દરરોજ ભંડારા રૂપે મહાપ્રસાદ, હનુમાન ચાલીસા પાઠ, સુંદરકાંડ પાઠ, હનુમાનજી રુદ્ર મહાયજ્ઞ, શ્રી રામકથા, ધર્મસભા સ્ટેજ કાર્યક્રમ, રાત્રિ નવધા ભક્તિ, તેમજ શ્રી રામનામની રમઝટ યોજાશે. આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ, સર્વ રોગ નિદાન કેમ્પ અને એક્યુપ્રેશર કેમ્પ જેવા સેવાકીય કાર્યક્રમો પણ યોજાશે. આ તમામ કાર્યક્રમો દ્વારા ૯ દિવસ સુધી પરમ પૂજ્ય બાપાને ભાવભર્યું શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ અંતર્ગત તા. ૧૮-૨-૨૬થી તા. ૨૭-૨-૨૬ દરમિયાન મોરબી જિલ્લાના રાજપર ગામે ભવ્ય અને ભાવસભર ઉજવણી યોજાશે.આ પ્રસંગે સર્વે હરિનામ પ્રેમીજનો, શ્રી રામધૂન મંડળો, શ્રી ગોપી મંડળો, તમામ જ્ઞાતિના સમાજ આગેવાનો, સમાજના શ્રેષ્ઠીઓ, રાજકીય મહાનુભાવો, ઉદ્યોગપતિઓ તેમજ વિવિધ સંસ્થાના હોદેદારોને શ્રી રામનામનો લાભ લેવા અને પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાને શ્રદ્ધાંજલી અર્પણ કરવા ભાવપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ ઉપરાંત પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપા ભગતના પ્રતિક સ્વરૂપ નિલેપ મુનિરાજ હરિનામ સાધક શ્રી ભરતદાસજી બાપુ (માલસર, નર્મદા) તા. ૧૭-૨-૨૬થી ૯ દિવસ માટે હાજરી આપશે. તેઓ પ્રથમ દિવસે અગ્નિપૂજન, અન્નપૂર્ણા પૂજન, ગણેશ સ્થાપના તથા દીપ પ્રાગટ્ય કરીને ધૂનનો આરંભ કરાવશે અને પૂજ્ય નાથાબાપાના સેવક સમુદાયને આશીર્વાદ આપશે.તા. ૨૨-૨-૨૬, રવિવારના રોજ સર્વ રોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે.









