મોરબીના આમરણ-બેલા રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત
SHARE









મોરબીના આમરણ-બેલા રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત
મોરબી તાલુકાના આમરણ-બેલા રોડ ઉપર બાઈક લઈને જઈ રહેલા વૃદ્ધના બાઇકને ટ્રક ચાલકે ટક્કર મારી હતી.આ અકસ્માત બનાવમાં બેલા(આમરણ) ગામના વૃદ્ધનું મોત નિપજેલ છે.હાલ બનાવ સંદર્ભે ફરિયાદ લેવા માટે તાલુકા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે.
મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે તાલુકાના બેલા (આમરણ) ગામે રહેતા લાભુભાઈ દેવાભાઈ ખીંટ નામના ૭૦ વર્ષના વૃદ્ધ આમરણ-બેલા રોડ ઉપર ડેમી નદીના પાસે આવેલ મેલડી માતા મંદિર સામેથી પોતાના બાઈક ઉપર જઈ રહ્યા હતા.તે સમયે ત્યાં અજાણ્યા ટ્રક ચાલકે તેમને હડફેટે લીધા હતા.આ અકસ્માત બનાવમાં શરીરે થયેલ ગંભીર ઇજાઓના પગલે લાભુભાઈ ખીંટ નામના વૃદ્ધનું મોત થયુ હતું.બનાવ બાદ લાભુભાઈના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.અકસ્માતમાં વૃદ્ધના મોતના પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.હાલ મૃતકના પરિવારજનોની ફરિયાદ લઈને અકસ્માત સર્નેજી ભાગી છુટેલા ટ્રક ચાલકને પકડવા તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
યુવાન સારવારમાં
હળવદના વેગડવાવ ગામે હનુમાન મંદિર વાળી શેરીમાં રહેતો મયુર અમૃતભાઈ સોનગ્રા નામનો ૧૬ વર્ષનો યુવાન મહેન્દ્રનગર ચોકડીથી પોતાના ઘરે વેગડવાવ જતો હતો ત્યારે રસ્તામાં કડીયાણા ગામ પાસે અચાનક આખલો આડો ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયુ હતુ.જેમાં બંને હાથના ભાગે ઇજા થતા તેને અત્રેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામ પાસે રીક્ષાની બોલેરો સાથે અથડામણ થયેલ.આ અકસ્માત બનાવમાં પ્રવીણભાઈ મનજીભાઈ સાણજા (૫૮) રહે.જેપુર તા.જી.મોરબી ને ઇજા થતાં તેમને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
મારામારીમાં ઇજા
મોરબીના નાનીવાવડી ગામે રહેતા નીતિનભાઈ ખીમજીભાઇ વરમોરા (૪૨) અને ધર્મિષ્ઠાબેન નીતિનભાઈ (૩૮) ને નાની વાવડી ગામે બાલા હનુમાન સોસાયટી ખાતે મારામારીમાં ઈજા થતા સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા જેથી તાલુકા પોલીસના એમ.પી.ઝાલાએ તપાસ કરી હતી.જ્યારે મોરબીના છાત્રાલય રોડ નવયુગ સ્કૂલ પાછળ રહેતા કૃણાલ મિતેશભાઈ ઓગણજા નામના ૨૬ વર્ષના યુવાને રફાળેશ્વર નજીક અક્ષર કોમ્પ્લેક્સ ખાતે કોઈ અખાદ્ય પદાર્થ ખાઈ લેતા તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.એચ.પરમાર દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.
વાહન અકસ્માતમાં ઈજા
વાંકાનેરના મેસરીયા ગામે રહેતા મોમૈયાભાઈ રામભાઈ ખાંભલા (૬૮) બાઈકમાં જતા હતા ત્યારે અચાનક વાડી વિસ્તારમાં ખુંટીયો આડો ઉતરતા વાહન સ્લીપ થઈ ગયું હતું જેમાં ઈજા થતા સારવાર માટે મોરબી લઈ જવામાં આવ્યા હતા.જ્યારે ટંકારામાં આવેલ જયશ્રી મસાલા નામના કારખાના પાસે રહેતા રામભાઈ રાયમલભાઈ રબારી ને ખીજડીયા રોડ ઉપર બસ વળે ટક્કર લાગી જતા સારવારમાં અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.મોરબી ખોખાણી શેરીમાં રહેતા પરિવારની રૂહી પાર્થભાઈ પારેખ નામની પાંચ વર્ષની બાળકી બાઈકમાં બેસીને જતી હતી તે વખતે ટંકારા છાપરી નજીક બાઇકમાંથી પડી જતા ઈજા થતા સારવારમાં લઈ જવામાં આવી હતી

