વાંકાનેરના સરતાનપર નજીક કારખાનાની પાછળ પાણીના તલાવડામાં ડૂબી જવાથી યુવાનનું મોત
માળિયા (મી)ના સરવડ ગામે વાજતે ગાજતે CISF ની સાયકલ યાત્રાનું સ્વાગત-સન્માન કરાયું
SHARE
માળિયા (મી)ના સરવડ ગામે વાજતે ગાજતે CISF ની સાયકલ યાત્રાનું સ્વાગત-સન્માન કરાયું
દેશની દરિયાઈ સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા અને રાષ્ટ્રીય એકતા મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે “CISF વંદે માતરમ્ કોસ્ટલ સાયક્લોથોન-2026” નું આયોજન કરાયું છે આ સાયકલ યાત્રા આજે મોરબી જિલ્લામાં આવી હતી અને માળિયા તાલુકાના સરવડ ગામમાં લોકો દ્વારા વાજતે ગાજતે સાયકલ યાત્રીઓનું સ્વાગત સન્માન કર્યું હતું. અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ ઐતિહાસિક સાયક્લોથોનની પશ્ચિમ દરિયાકાંઠાની ટીમનું પ્રસ્થાન ગુજરાતના કચ્છ સ્થિત ઐતિહાસિક લખપત કિલ્લાથી તા. ૨૮ ના રોજ કરવામાં આવ્યું હતું અને આજે તા. ૩૦ જાન્યુઆરીના રોજ મોરબી જિલ્લામાં આ સાયકલ યાત્રાનું આગમન થયું હતું. ત્યારે જિલ્લા વહીવટી અને રાજકોટ CISF યુનિટ તંત્ર દ્વારા યાત્રાનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લામાં માળિયા તાલુકાના સરવડ ગામ ખાતે ગઇકાલે યાત્રા રાતે નવ વાગ્યે પહોંચી હતી ત્યારે ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે આ સાયકલ યાત્રાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભક્તિના ગીત ઉપર બાળકોએ જુદીજુદી કૃતિઓ રજૂ કરી હતી. તેમજ ગરબા પણ રજૂ કરવામાં આવ્યા હતા. તેવી માહિતી સરવડ ગામના આગેવાન મણિભાઈ સરડવાએ આપી હતી.
વધુમાં CISF ના અધિકારી મહેશસિંગએ જણાવ્યું હતું કે, આ દેશવ્યાપી અભિયાનના ભાગરૂપે CISF રાજકોટ યુનિટને મોરબી જિલ્લાના માળિયાથી જોડિયા સુધીના દરિયાકાંઠાના પટ્ટામાં સાયક્લોથોન પ્રવૃત્તિઓનું સંચાલન અને સંકલન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ યુનિટ દ્વારા સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને માછીમારો, યુવાનો અને સ્થાનિક સમુદાયો સાથે સંવાદ કરી દરિયાઈ સુરક્ષા અંગે જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
આ સાયક્લોથોન 'વંદે માતરમ્' ના ૧૫૦ વર્ષ નિમિત્તે દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક તરીકે સમર્પિત કરવામાં આવી છે. અને સૌથી મોટી વાતએ છે કે, સાગર સુરક્ષાના મેસેજ સાથ આ સાયકલોથન શરૂ કરવામાં આવી છે જો કે, તેમાં કુલ મળીને ૧૩૦ જેટલા જવાનો સાયકલ ચલાવી રહ્યા છે જેમાં ૫૦ ટકા મહિલાઓ છે જેથી સ્ત્રી સશક્તિકરણને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તેવી માહિતી સાયકલ યાત્રામાં જોડાયેલ હરિયાણાથી અનુકુમારીએ જણાવ્યું છે
આ સાયકલ યાત્રાને તા. ૨૮ જાન્યુઆરીથી શરૂ થયેલી આ સાયકલ યાત્રા ૨૨ ફેબ્રુઆરી સુધી એટલે કે ૨૫ દિવસ સુધીમાં ભારતમાં અંદાજે ૬,૫૦૦ કિલોમીટર સુધી કોસ્ટલાઇન પર ભ્રમણ કરશે. અને કચ્છથી જે સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી છે તે કોચી ખાતે પૂરી કરવામાં આવશે.