મોરબી શહેરમાં મહાનગરપાલીકા લોકમેળાનું આયોજન કરે: કોંગ્રેસની રજૂઆત
SHARE









મોરબી શહેરમાં નગરપાલીકા કચેરી દ્વારા અગાઉ લોકમેળાનું આયોજન કરવામાં આવતું હતું. જે લોકમેળાનો આનંદ મોરબી શહેરની જનતા સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો માણતા હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી કોઈ કારણોસર નગરપાલીકા કચેરી દ્વારા આ લોકમેળાનું આયોજન કરવામાં આવતું ન હતું. જોકે, ચાલુ વર્ષે મહાપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવે તેવી માંગ કરી છે.
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, તહેવારના દિવસોમાં લોકમેળો એ લોકો માટે આનંદ અને મનોરંજન માટેનું ઉતમ માધ્યમ છે. મોરબી શહેરમાં હાલમાં પ્રાઈવેટ લોકમેળા થતાં હોવાના કારણે પ્રાઈવેટ લોકમેળાના સંચાલકો દ્વારા મોરબીના લોકો પાસેથી વધુ પૈસા પડાવી ઉઘાડી લુંટ ચલાવવામાં આવે છે. જેના કારણે ગરબી-મધ્યમ વર્ગના લોકો આ લોકમેળાનો આનંદ માણી શકતા નથી. મોરબી નગરપાલીકાને મહાનગરપાલીકાનો દરજજો મળેલ છે. તેમજ શ્રાવણ માસની શુભશરૂઆત થવામાં થોડા જ દિવસો બાકી છે. ત્યારે જો મોરબી મહાનગરપાલીકા કચેરી દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવે તો ''સૌનામાં સુગંદ’' ભળી જાય તેમ છે. તેમજ આ લોકમેળાનો આનંદ ગરીબ-મધ્યમ વર્ગના વધુને વધુ લોકો માણી શકે તેમ છે. જેથી કોંગ્રેસની રજુઆતને ધ્યાને લઈ શ્રાવણ માસમાં લોકમેળાનું આયોજન કરવા માટેની માંગ કરી છે.

