મોરબીના સીરામીક કારખાનાઓમાંથી ઓર્ડર ન મળતા પેકેજીંગ ઉદ્યોગ મરણ પથારીએ: મોટાભાગના યુનિટ બંધ, આર્થિક સંકટના એંધાણ
SHARE
મોરબીના સીરામીક કારખાનાઓમાંથી ઓર્ડર ન મળતા પેકેજીંગ ઉદ્યોગ મરણ પથારીએ: મોટાભાગના યુનિટ બંધ, આર્થિક સંકટના એંધાણ
મોરબીના સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલ પેકેજીંગ ઉદ્યોગ પર પણ સંકટના વાદળો ઘેરાયા છે અને પેકેજીંગના યુનિટો પણ સિરામિક ઉદ્યોગમાંથી ઓર્ડર ન મળવાના કારણે બંધ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેથી કરીને હાલમાં શ્રમિકો ઉપર રોજગારીનું સંકટ આવી પડ્યું છે અને ભવિષ્યમાં કારખાનેદારો ઉપર આર્થિક બોજો વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે
મોરબીની આસપાસના વિસ્તારમાં પેકેજીંગના નાના-મોટા કુલ મળીને 192 જેટલા યુનિટો આવેલા છે અને તે યુનિટોમાંથી મોટાભાગના પેકેજીંગના યુનિટો મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર આધારિત હતા કેમકે તેઓના કારખાના ની અંદર જે માલનું ઉત્પાદન થતું હતું તે માલની સપ્લાય મોરબીની આસપાસના સિરામિક કારખાનામાં બનતી સિરામિક પ્રોડક્ટના પેકિંગ માટે થઈને થતી હતી જોકે સીરામીકના કારખાના છેલ્લા 15 દિવસમાં ક્રમશઃ બંધ થઈ રહ્યા છે જેની સીધી અસર હવે પેકેજીંગ ઉદ્યોગ ઉપર પણ જોવા મળી રહી છે અને પેકેજીંગના કારખાનાઓમાં 24 કલાક 30 દિવસ જે કામ મળતું હતું તેની બદલે અઠવાડિયાના માત્ર ત્રણથી ચાર દિવસ અને તે પણ 12 કલાક યુનિટ ચાલે તેટલી જ કામગીરી રહી છે તેવી માહિતી મોરબી પેકેજીંગ એસો.ના પ્રમુખ પાર્થભાઈ બારૈયાએ આપી છે.
મોરબીમાં સીરામીકના કારખાનાઓમાંથી લગભગ 450 જેટલા સિરામિકના કારખાના છેલ્લા 15 દિવસની અંદર ગેસના અભાવના કારણે બંધ થયા છે જેથી સીરામીક પ્રોડક્ટના પેકિંગ માટે પેકેજીંગ યુનિટમાંથી આવતા બોક્સનો ઉપયોગ બંધ થઈ ગયો છે અને નવા ઓર્ડર આવવાના બંધ થઈ ગયા છે જેથી મોરબીની આસપાસમાં આવેલા 192 જેટલા પેકિંજિંગના કારખાનામાંથી મોટાભાગના કારખાના હાલમાં બંધ જેવી સ્થિતિમાં આવી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે અને આવીને આવી પરિસ્થિતિ યુધ્ધના લીધે લાંબો સમય સુધી રહેશે તો ઉદ્યોગોકારોએ પોતાના યુનિટ ચાલુ કરવા માટે થઈને જે બેંકની લોનો લીધી હોય તેના હપ્તા ભરવા સહિતના આર્થિક બોજો વધી શકે છે
મોરબીમાં વિનઆર્ટ પેકેજીંગ યુનિટના માલિક જતીનભાઈ પટેલે જણાવ્યુ હતું કે, પેકેજિંગના યુનિટ બંધ થવાથી ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી રોજગારી મેળવવા માટે જે શ્રમિકો આવ્યા હોય તેઓની રોજગારી પણ છીનવાઈ શકે છે ખાસ કરીને પેકેજીંગ યુનિટમાં બોક્સ બનાવવા માટે થઈને જે પેપરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તે પેપરના ભાવમાં પણ આ યુદ્ધની અસરના કારણે વધારો થઈ ગયો છે જેથી પેકેજીંગના ઉદ્યોગકારોએ પણ પોતાની તૈયાર પ્રોડક્ટ ઉપર 8 થી 10% જેટલો ભાવ વધારો કરવો પડે તેવી પરિસ્થિતિ હાલમાં છે જોકે હાલમાં જે કારખાના બંધ થઈ રહ્યા છે તે આગામી સમયમાં ફરી પાછા ક્યારે રાબેતા મુજબ ધમધમતા થશે તે અત્યારે કહી શકાય તેમ નથી
હાલમાં યુદ્ધ ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહ્યું છે પરંતુ તેની સૌથી મોટી અસર મોરબીના સિરામિક ઉદ્યોગને થઈ રહી છે અને ગેસના અભાવના કારણે ટપોટપ સિરામિકના કારખાના બંધ થયા છે અને ત્યારબાદ હવે સિરામિક ઉદ્યોગ સાથે સીધી રીતે સંકળાયેલા પેકેજીંગ ઉદ્યોગને પણ બહુ મોટી અસર જોવા મળી રહી છે હાલમાં મોટાભાગના પેકેજીંગ ના કારખાનાઓ બંધ જેવી હાલતમાં આવી ગયા છે અને જો લાંબો સમય યુદ્ધ ચાલુ રહેશે તો પેકેજીંગ ના યુનિટ ધરાવતા કારખાનેદારો આર્થિક સંકટમાં આવી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નથી









