હળવદ પત્રકાર એસો. આયોજીત સર્વરોગ નિદાન કેમ્પમાં 770 દર્દીઓએ સારવાર લીધી, 30 લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો અને 110 બોટલ રક્ત એકત્રિત
SHARE
હળવદ પત્રકાર એસો. આયોજીત સર્વરોગ નિદાન કેમ્પમાં 770 દર્દીઓએ સારવાર લીધી, 30 લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો અને 110 બોટલ રક્ત એકત્રિત
હળવદ શહેરમાં પત્રકાર એસોસિએશન દ્વારા લોહાણા મહાજન સમાજની વાડી ખાતે સર્વરોગ નિદાન કેમ્પ, અંગદાન સંકલ્પ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવાકીય પ્રવૃત્તિના આ ત્રિવેણી સંગમમાં મોટી સંખ્યામાં દર્દી નારાયણે લાભ લીધો હતો.
કેમ્પ દરમિયાન હળવદ તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાંથી આવેલા 770 જેટલા દર્દીઓએ નિષ્ણાત તબીબો પાસેથી નિદાન અને સારવારનો લાભ લીધો હતો. વિવિધ રોગોના નિષ્ણાત સહિત અંદાજે 10 જેટલા તબીબોએ પોતાની સેવાઓ આપી હતી.દર્દીઓને જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી.
આ ઉપરાંત આયોજિત અંગદાન સંકલ્પ કેમ્પમાં 30 લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો હતો.જ્યારે બ્લડ ડોનેશન કેમ્પમાં 110 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. એકત્રિત કરાયેલ રક્ત આગામી દિવસોમાં જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે.કાર્યક્રમમાં હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, નગરપાલિકા પ્રમુખ ફોરમબેન રાવલ,હળવદ સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી, મુખ્ય અતિથિ દિવ્યાંગભાઈ પટેલ,વિજયભાઈ જાની, ભીખાભાઈ પટેલ, રમેશભાઈ ભગત, ડીવાયએસપી સમીર સારડા, પીઆઈ આર.ટી.વ્યાસ,સહિત સંતો-મહંતો, રાજકીય આગેવાનો, વેપારીઓ, સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ,તેમજ ડો.મિલન માલપરા સહિત મોરબી-રાજકોટના ડોક્ટર સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.પત્રકાર એસોસિએશનના આ સેવાકીય આયોજનને સફળ બનાવવા વિવિધ સામાજિક સંસ્થાઓ, આગેવાનો તથા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.પત્રકારત્વની સાથે સમાજસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા આ કાર્યક્રમની સર્વત્ર પ્રશંસા થઈ હતી.