મોરબી : બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવા માર્ગદર્શિકા જાહેર કરાઈ
SHARE
મોરબી : બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવા માર્ગદર્શિકા જાહેર કરાઈ
આગામી ચોમાસુ સિઝનમાં ખેડુતો દ્વારા રાસયણીક ખાતર, બિયારણ તથા જંતુનાશક દવાઓની ખરીદી ચાલુ કરાશે ત્યારે આગામી વર્ષમાં ઉત્પાદન સારૂ મળે તે માટે ખેડૂતોએ અત્યારથી જ તૈયારી ચાલુ કરવી પડશે.તે માટે સૌ પ્રથમ જરૂરી છે.સારા સર્ટીફાઇડ કે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત બિયારણની પસંદગી, જો બિયારણની પસંદગીમાં ખેડુત થાપ ખાય તો આખુ વર્ષ નુકસાનીનુ જાય છે.બિયારણ હંમેશા સારી ગુણવતાવાળુ, આજુબાજુના વિસ્તારમાં સારા પરિણામો મળ્યા હોય તેવું જાણીતું તથા જોયેલું હોય તેવું, જમીનને અનુરૂપ વહેલી, મધ્યમ કે મોડી જાત તથા પાણીની સગવડતા મુજબનું અધિકૃત લાયસન્સ(પરવાનો) ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો.
બિયારણ સગા-સબંધી કે ફેરીયાઓ કે વચેટીયા પાસેથી બીલ વગર ક્યારેય ખરીદ ન કરવુ જેથી છેતરપીંડીનો અવકાશ ન રહે.બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું.બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી ને ? તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં આજ રીતે રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓની ખરીદીમાં પણ સાવધાની રાખવી જરૂરી છે.અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતુ હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) ને તુરંત જાણ કરવા મોરબી નાયબ ખેતી નિયામક(વિ.) ની યાદીમાં જણાવાયું છે.