મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના
SHARE
મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના
મોરબી મહાનગરપાલિકામાં બુધવારે બાળ સંચાલિત બાળ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીની જુદીજુદી શાળાઓના બાળકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેઓમાં લોકશાહી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પ્રત્યે સમજણ કેળવાય તે હેતુથી આ "બાળ મહાસભા" નું આયોજન કર્યું હતું જેમાં મોરબી મહાપાલિકાના એક દિન ક સુલ્તાન સમાન મેયરની સમક્ષ ગ્રીનસિટી અને ક્લિનસિટી બનાવવા માટેના સોનેરી સપના જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
મોરબી મહાનગરપાલિકાના મેયર ઉતમભાઈ સુરાણી અને કમિશનર સંગિતા રૈયાણી દ્વારા બુધવારે મહાપાલિકા કચેરી ખાતે શહેરની વિવિધ શાળાઓના તેજસ્વી બાળકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને જે બાળકો આવેલા હતા તેમાંથી મહાપાલિકાના એક દિવસ માટેના મેયર થી લઈને કમિશનર સુધીના હોદેદારોને નક્કી કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ વિદ્યાર્થીમાંથી પસંદ કરવામાં આવેલ મેયર, ડેપ્યુટી મેયર, કમિશનર તથા વિવિધ સમિતિઓના ચેરમેન અને કોર્પોરેટરની હાજરીમાં મહાપાલિકાના સભા ખંડમાં બાળ મહાસભા યોજાઇ હતી ત્યારે કોર્પોરેટર તરીકે સભામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક સમસ્યા, પ્રદૂષણ, ગંદકી, વિગેરે જે પ્રશ્નો છે તેને લઈને સવાલો કરવામાં આવેલ હતા જેના અધિકારી તરીકે જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓ દ્વારા પોતાની બુધ્ધિક્ષમતા અને અધિકારીઓ પાસેથી મેળવેલ માહિતી આધારે જવાબ આપવામાં આવ્યા હતા અને ખાસ કરીને એવું કહી શકાય કે શાળાના બાળકોમાં નેતૃત્વ, વક્તૃત્વ અને વહીવટી પ્રક્રિયાના ગુણોનો વિકાસ થાય તે માટે યોજાયેલ કાર્યક્રમમાં બાળકોને ઘણી બધી માહિતી જાણવા મળી હતી. અને તંત્ર દ્વારા લોકોના પ્રશ્નો ઉકેલવા માટે કઈ રીતે કામગીરી કરવામાં આવે છે તેની સમજ પણ તેઓને મળી હતી. જો કે, મોરબીને વર્ષોથી પેરિસ બનાવવાનું સપનું જે લોકોની આંખમાં દેખાઈ રહ્યું છે આવી જ રીતે માત્ર એક દિવસ માટે મોરબીના મહાપાલિકામાં મેયર, કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં મોરબીને ગ્રીનસિટી અને ક્લિનસિટી બનાવવા માટેનું સોનેરી સપનું જોવા મળ્યું હતું જો કે, તે સાકાર કયારે થશે તે આગામી સમય બતાવશે. અંતમાં મહાપાલિકાના કમિશનર સંગિતા રૈયાણીએ જણાવ્યુ હતું કે, લોકશાહીમાં બાળકો વહીવટી કામગીરીથી વાકેફ થાય તેના માટે બાળકોને મહાપાલિકામાં આમંત્રિક કરવામાં આવ્યા હતા અને તેઓની હાજરીમાં નહીં તેઓના જ વડપણ હેઠળ કરવામાં આવે મહાસભાની કાર્યવાહી આજીવન તેઓને માટે યાદગાર સંભારણું બની રહેશે.









