મોરબી યદુનંદન ગૌશાળા ખાતે માનવ સેવા અર્થે લાવવામાં આવેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત
રાજકોટથી રીક્ષામાં દારૂની ૮૬ બોટલની ડીલેવરી દેવા મોરબી આવતા બે ઝડપાયા
SHARE
મોરબી શહેર અને જિલ્લામાં ભારે મોટી માત્રામાં વિદેશી દારૂ તેમજ દેશીદારૂના હાટડા ચલાવવામાં આવે છે અને તેની જ પ્રતીતિ કરાવે છે કે મોરબીના ટંકારા પોલીસે રાજકોટ તરફથી આવતી સીએનજી રીક્ષામાં ૮૬ બોટલ દારૂ ભરીને મોરબી તરફ આપવા આવી રહેલા રાજકોટના બે ઇસમોની લજાઇ ચોકડી નજીકથી ધરપકડ કરેલ છે.અગાઉ પણ ચોટીલા પંથકના નાળીયેરીમાંથી તેમજ સુરેન્દ્રનગર પંથકમાંથી મોટી માત્રામાં દેશી-વિદેશી દારૂ મોરબીમાં ઠાલવવામાં આવતો હોય છે.તે રીતે જ મોરબીનું વાંકાનેર જાણ કે વિદેશી દારૂનું પીઠુ હોય તેમ ત્યાં અનેક મોટી રેડ આ જગ્યાએ થયેલ છે.પોલીસ દ્રારા કડક કાર્યવાહી કરવામાં આવે અને જિલ્લામાંથી દેશી તેમજ વિદેશી દારૂની બદીને દૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.
ટંકારા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા મુજબ ટંકારા પોલીસ સ્ટાફે લજાઇ ચોકડીની પાસે રાજકોટ તરફથી આવી રહેલી એક સીએનજી રિક્ષા નંબર જીજે ૩ બીયુ ૨૩૦૧ ને અટકાવી હતી અને રીક્ષાની તલાશી લેતા રીક્ષામાંથી જુદીજુદી બે બ્રાંડના કુલ મળીને ૮૬ બોટલ દારૂ કિંમત રૂા.૨૬,૬૦૦ નો મુદામાલ મળી આવ્યો હતો તેથી દારૂ તેમજ રૂા.૩૫ હજારની રીક્ષા મળીને કુલ રૂા.૬૧,૬૦૦ ના મુદામાલ સાથે સ્થળ ઉપરથી ટંકારા પોલીસે તેજસ ઉર્ફે લાલો જયંતિલાલ જીવરાજાણી જાતે લુવાણા (ઉ.વ.૪૨) ધંધો ડ્રાઈવીંગ રહે. ગાંધીગ્રામ શેરી નંબર ૧૧ રાજકોટ તથા ઋત્વિક ચંદ્રેશભાઈ ઘઘડા જાતે સોની (ઉ.વ.૧૮) ધંધો મજુરી રહે.જંગલેશ્વર રાજકોટને ઝડપી લીધા હતા.ટંકારા પોલીસે તેજસ અને ઋત્વિકની ધરપકડ કરીને તેઓની સાથે સંડોવાયેલા તપાસમાં ખૂલે તે તમામ વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે અને તે બંને દારૂનો આ જથ્થો કોની પાસેથી લાવ્યા હતા..? અને મોરબી કે ટંકારા પંથકમાં કોને આપવાના હતા..? તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે.રેડની કામગીરી પીએસઆઇ એસ.એમ.રાણા તથા સર્વેલન્સ સ્કવોડના વિજયભાઈ બાર, હિતેષભાઈ ચાવડા, ખાલીદખાન, સિધ્ધરાજસિહ, વિપુલભાઈ બાલાસરા અને બિપીનભાઈ શેરસીયાએ કરી હતી.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના હળવદ તાલુકાના મિંયાણી ગામના રહેવાસી પ્રવીણભાઈ ભીખાભાઈ ઝિંઝુવાડીયા નામનો ૨૩ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઈજાગ્રસ્ત પ્રવિણ ઝીંઝુવાડીયાને અહીં આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે વાહન અકસ્માતના બનાવમાં વાંકાનેરના અજયભાઈ પંકજભાઈ જખાણીયા નામના ૧૯ વર્ષીય યુવાનને પણ ઇજાઓ થતાં તેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેમજ મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે ઉપર ઢુવા પાસે વરમોરા હોટલ નજીક રાજુભાઈ જાફરભાઈ બનાવા નામના ૪૫ વર્ષીય યુવાનને પણ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેને અહીંની સદભાવના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.