મોરબીનું ગૌરવ : બંસીબા દિવ્યરાજસિંહ રાણાએ ફેન્સીંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો
ચોંકાવનારો બનાવ: ઇન્સ્ટગ્રામથી મેસેજ કર્યો હોવાની શંકાએ સગીર વિદ્યાર્થીને વિદ્યાર્થિનીના પિતા સહિત ૧૦ જેટલા લોકોએ મોરબીમાં ખાનગી શાળાના પટાંગણમાં માર માર્યો
SHARE
ચોંકાવનારો બનાવ: ઇન્સ્ટગ્રામથી મેસેજ કર્યો હોવાની શંકાએ સગીર વિદ્યાર્થીને વિદ્યાર્થિનીના પિતા સહિત ૧૦ જેટલા લોકોએ મોરબીમાં ખાનગી શાળાના પટાંગણમાં માર માર્યો
વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલ ફોટો અને વિડીયો તેમજ તેના ઉપર કરવામાં આવતી કોમેન્ટ અને મેસેજ માટે ઘણી વખત ઝઘડો, મારામારી અને માથાકૂટ થતી હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે.તેવામાં મોરબી શહેર અને જિલ્લાના તમામ વાલીઓ માટે લાલબત્તી સમાન કહી શકાય તેવો એક કિસ્સો મોરબી શહેરમાં સામે આવ્યો છે.જેમાં સોશિયલ મીડિયા ઉપર સગીર વિદ્યાર્થીએ તેની જ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ઇન્સ્ટગ્રામમાં મેસેજ કર્યો હોવાની શંકાને આધારે મોરબીની ખાનગી શાળામાં અભ્યાસ કરતા ધો.૯ ના વિદ્યાર્થીને માર મારીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને શાળાના પટાંગણમાં લઈ જઈને તેને ત્યાં પણ માર માર્યો હતો.અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી આ બનાવ સંદર્ભે ભોગ બનેલા બાળકની માતા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.જેના આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
અગાઉના સમયમાં જમીન અને રૂપિયાની લેતી દેતી માટે મારામારી અને માથાકૂટો થતી હોય એવું સામે આવતું હતું જો કે, હવે સોશિયલ મીડિયાના કારણે ઝઘડા, માથાકૂટ અને મારામારી થતી હોય તેવા અનેક બનાવો છેલ્લા વર્ષોમાં સામે આવ્યા છે.તેવી જ એક ઘટના મોરબી શહેરી વિસ્તારમાં બની છે.જોકે જે ભોગ બનેલ બાળક છે તે સગીર ઉમરનો છે અને જે લોકો દ્વારા માર મારવામાં આવેલ છે તેમાં પણ સગીરાના પિતા અને અન્ય સગીર હોવાની શક્યતા છે.જેથી સમાચાર નામ જોગ કે પછી બદલાવેલ નામ લખીને પ્રસિદ્ધ કર્યા નથી.પરંતુ જે ઘટના બની છે તે સમાજ માટે લાલબત્તી સમાન હોવાના કારણે અહીંયા માત્ર ઘટનાને ઉજાગર કરવામાં આવેલ છે.તેમાંથી વાલીઓને પણ બોધપાઠ લેવો પડે તેમ છે.તેવું કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી.
સુત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારની બાજુમાં આવેલ સોસાયટીમાં રહેતા પરિવારનો દીકરો મોરબીની ખાનગી શાળામાં અભ્યાસ કરે છે અને તે જ શાળાની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને આ વિદ્યાર્થીએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી મેસેજ કર્યો હોવાની શંકા રાખીને વિદ્યાર્થીનીના પિતા સહિતના અંદાજે ૧૦ જેટલા લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો.ત્યારબાદ આ સગીર વિદ્યાર્થીનું અપહરણ કરીને તેની શાળાએ લઈ ગયા હતા અને ત્યાં શાળાના પટાંગણમાં પણ વિદ્યાર્થીને લઈ ગયા હતા.ત્યાં પણ વિદ્યાર્થીનીના પિતા સહિતના લોકોએ તે વિદ્યાર્થીને ઢીકાપાટુનો અને ટેબલ વડે માર મારીને શરીરે ઇજાઓ કરી હતી.તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જેથી ઇજા પામેલા બાળકને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.જોકે સોશિયલ મીડિયાના કારણે અગાઉ મોરબીમાં દુષ્કર્મ, બ્લેકમેલિંગ સહિતની અનેક પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે.ત્યારે સગીર બાળકોને હાથમાં મોબાઈલ આપવા તે કેટલા અંશે વ્યાજબી છે ? તે હવે વાલીઓએ વિચારવાની જરૂર છે.