મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલા આપઘાતના પ્રયાસમાં વધુ એક આરોપીની ધરપકડ
મોરબીમાં પુત્રની સારવાર માટે લીધેલ પૈસાનું અધધ ૨૪ ટકા વ્યાજ વસૂલતા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો
SHARE
મોરબીમાં પુત્રની સારવાર માટે લીધેલ પૈસાનું અધધ ૨૪ ટકા વ્યાજ વસૂલતા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો
મોરબી જિલ્લામાં પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેમ જણાઇ રહ્યુ છે.કારણ કે વ્યાજ વટાવના ઠેકઠેકાણે હાટડા ખુલ્યા છે અને અનેક લોકો તેનો ભોગ બની રહ્યા છે. અત્રે નોંધનીય છે કે આ મુદદે લોક દરબાર યોજાયો હતો પરંતુ તેમાં પણ કોઇ કડક કાર્યવાહી થતી ન હોવાના લીધે વ્યાજખોરો બેફામ બન્યા છે.વ્યાજખોરો દ્વારા જરૂરિયાતમંદ લોકોની જરૂરીયાતને લીધે વગર લાયસન્સે વ્યાજે નાણાં ધીરીને હેરાન કરવામાં આવે છે.આવો જ એક બનાવ પોલીસ ચોપડે નોંધાવા પામ્યો છે.જેમાં મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં આવતા લીલાપર ગામે રહેતા યુવાનને પોતાના પુત્રની બીમારી સબબ પૈસાની જરૂર હોય તેણે મોરબીના રબારીવાસમાં રહેતા રબારી શખ્સ પાસેથી અલગ અલગ સમયે દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેનું ૨૪ ટકા જેટલું અધધ વ્યાજ વસૂલવામાં આવતુ હતુ અને ઉઘરાણી માટે ગાળો આપીને ફોનમાં જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હોય ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર ગામે વણકરવાસ વિસ્તારમાં શક્તિ માતાના મંદિર નજીક રહેતા બીપીનભાઈ મલાભાઇ રાઠોડ નામના ૩૩ વર્ષીય યુવાને મોરબીના રબારીવાસ વિસ્તારમાં રહેતા દેવાભાઇ દિલાભાઈ રબારી નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, પોતાને પોતાના દીકરાની દવા માટે પૈસાની જરૂરિયાત હોય તેણે દેવાભાઈ રબારી પાસેથી જુદા જુદા સમયે દોઢ લાખ રૂપિયા ૨૪ ટકા વ્યાજ લેખે લીધા હતા..! જે રૂપિયાની સામાવાળા દેવાભાઈ રબારી અવારનવાર ફોન દ્વારા પઠાણી ઉઘરાણી કરીને ગાળો આપી ફોનમાં જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોય અંતે કંટાળી જઈને દેવાભાઇની સામે ફરિયાદ નોંધાવી હતી.
અત્રે નોંધનીય છે કે મોરબી શહેર તેમજ જિલ્લામાં અનેક જગ્યાઓએ વગર લાઇસન્સે ઉંચા વ્યાજે નાંણા ધીરવાના હાટડા ચાલી રહ્યા છે અને મોટાભાગના કોમ્પ્લેક્સ કે શોપિંગ સેન્ટરોમાં "વ્યાજ વટાવની દુકાનો" ખુલ્લી હોવા છતાં પણ સ્થાનિક પોલીસ દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે.કારણ કે મોરબીની જુદી જુદી સરકારી કચેરીઓમાં આચરવામાં આવતા ભ્રષ્ટાચારનો બે નંબરનો પૈસો વ્યાજ વટાવમાં ફરતો હોવાના કારણે વ્યાજખોરો સામે કોઇ કાર્યવાહી થતી નથી માટે ઉચ્ચ કક્ષાએથી આ ગંભીર મુદ્દાને ધ્યાને લઇને ખાનગી રાહે તપાસ કરાવાને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ ભરતનગર ગામ પાછળ રાજબાઈ આશ્રમ નજીક પ્રકાશભાઇ લીખીયાની વાડીએ રહીને મજૂરીકામ કરતા બુધાભાઈ જતનભાઈ તડવી નામનો ૩૨ વર્ષીય યુવાન રિક્ષામાં બેસીને જતો હતો ત્યારે માળીયા હાઇવે લક્ષ્મીનગર ગામ પાસેના પેટ્રોલ પંપ નજીક રિક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ઇજાઓ થવાથી બુધાભાઈ તળવીને પ્રકાશભાઈ સારવાર માટે લાવ્યા હતા. તે રીતે જ મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતો દક્ષ કડીવાર નામનો ૧૦ વર્ષીય બાળક પોતાની માતાના એક્ટિવાની પાછળ બેસીને જતો હતો ત્યારે રસ્તામાં તેઓનું એકટીવા સ્લીપ થઇ જતાં ઈજાગ્રસ્ત થયેલા દક્ષ કડીવારને સારવારમાં લાવવામાં આવ્યો હતો.