મોરબીમાં જુદા જુદા ત્રણ બનાવમાં ગાય-ખુંટીયાની હેડફેટે પાંચ લોકો સારવારમાં
SHARE
મોરબીમાં જુદા જુદા ત્રણ બનાવમાં ગાય-ખુંટીયાની હેડફેટે પાંચ લોકો સારવારમાં
મોરબી શહેર અને જિલ્લા પંથકમાં રજડતા ઢોરનો ત્રાસ અનહદ હોય છાશવારે વાહન અકસ્માતના બનાવો બને છે જેમાં છેલ્લા બે દિવસમાં જુદાજુદા ત્રણ વાહન અકસ્માતો બન્યા હતા જેમાં ગાય અને ખૂંટીયાના લીધે અકસ્માત સર્જાતા પાંચ લોકોને સારવારમાં ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના રાજકોટ હાઇવે ઉપર એટોપ કારખાના સામે ટુ-વ્હીલર સાથે ખૂંટીયો અથડાતા ટંકારા તાલુકાના હડમતીયા ગામના દિશાબેન પ્રવીણભાઈ ખાખરીયા (૨૦), કૃષાબેન કાનજીભાઈ ખાખરીયા (૨૦) અને હેતલબેન રણછોડભાઈ ચાવડા (૨૬) નામના ત્રણ બહેનોને ઇજાઓ પહોંચી હતી.જેથી તેઓને સારવાર માટે અહીં આયુષ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરિયા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.જયારે મોરબીના રહેવાસી બળવંતભાઈ ગોવિંદભાઈ ચાવડા નામનો ૨૯ વર્ષનો યુવાન જી.કે.હોટેલ તરફથી પોતાના ઘર તરફ જતો હતો ત્યારે શનાળા રોડ માર્કેટિંગ યાર્ડ નજીક રસ્તામાં તેના બાઇકની આડે ગાય આડી ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં બળવંતભાઈ ચાવડાને ઇજાઓ પહોંચતા તેને પણ ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.તેમજ મોરબીના માધાપરા વિસ્તારમાં રહેતી વૈશાલીબેન મહેશભાઈ પરમાર નામની ૨૫ વર્ષની યુવતી વાવડી રોડ ઉપરથી એકટીવા લઈને જતી હતી ત્યારે બાપાસીતારામ મઢુલી પાસે એકટીવા સાથે ખૂંટીયો અથડાતા સર્જાયેલા અકસ્માતમાં વૈશાલીબેનને પણ ઇજાઓ પહોંચતા તેણીને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ વિસ્તાર નજીક રહેતા આશિષ ભીખુભાઈ ખાંટ નામનો ૩૫ વર્ષનો યુવાન માળીયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામ પાસેથી બાઇક લઇને જતો હતો ત્યારે ટ્રક અને બાઇક વચ્ચે થયેલ અકસ્માત બનાવમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે જામનગરના જોડિયા તાલુકાના ટીંબડી ગામે રહેતા ભુપત દીપસિંગ આદિવાસી નામનો ૨૮ વર્ષનો યુવાન ખેતરમાં દવાનો છંટકાવ કરતો હતો ત્યારે ઝેરી અસર થતા તેને સારવાર માટે મોરબી લવાયો હતો.તેમજ મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા અમિતભાઈ ભોજવીયાનો ત્રણ વર્ષનો પુત્ર ધ્યેય ઘર પાસે શેરીમાં રમતો હતો ત્યારે કોઇ બાઈક ચાલકે તેને હડફેટે લેતા ઇજાઓ થવાથી તેને સારવારમાં લઈ જવાયો હતો.
મહિલા સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તાર પાસે અમૃતપાર્ક નજીક રહેતા શબનમબાનું યાકુબખાન પઠાણ નામની ૩૮ વર્ષની મહિલા અજાણી માત્રામાં ઊંઘની ગોળીઓ ખાઈ લેતા તેણીને સારવારમાં ખસેડવામાં આવી હતી.પોલીસના જણાવ્યા પ્રમાણે તેણીને ત્રણ સંતાનો છે અને તેણીનો લગ્નગાળો ૧૪ વર્ષનો છે.હાલ બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયા તપાસ ચલાવી રહ્યા છે









