મોરબીના ખાખરાળા ગામે યુવાનની નિર્મમ હત્યા કરનાર આરોપીના પાંચ દિવસના રીમાન્ડ મંજુર
મોરબીના ધારાસભ્યએ નર્મદાનાં ચીફ ઇજનેરને કેનાલના રિપેરિંગ માટે ખખડાવ્યા બાદ યુધ્ધના ધોરણે કામ શરૂ !: પાણી કયારે મળશે તે સવાલ યથાવત
SHARE
મોરબીના ધારાસભ્યએ નર્મદાનાં ચીફ ઇજનેરને કેનાલના રિપેરિંગ માટે ખખડાવ્યા બાદ યુધ્ધના ધોરણે કામ શરૂ !: પાણી કયારે મળશે તે સવાલ યથાવત
મોરબી જિલ્લામાં આવતી નર્મદાની ત્રણ કેનાલનું રીપેરીંગ કામ કરવા માટેનો કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે જોકે, કોન્ટ્રાક્ટર ગોકળગતી અને નબળી ગુણવત્તાનું કામ કરતો હોવાથી મોરબીના ધારાસભ્યને ફરિયાદ મળી હતી જેથી તેઓ સ્થળ ઉપર પહોચ્યા હતા અને નર્મદાનાં ચીફ ઇજનેરને ટેલિફોન ઉપર કામગીરી બાબતે ખખડાવ્યા હતા જેથી આજે સવારથી યુધ્ધના ધોરણે કેનાલ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા માણસો મૂકીને રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. પરંતુ આગામી ચોમાસા પહેલા કેનાલનું રીપેરીંગ કામ પૂરું થશે કે કેમ તે તો સમય જ બતાવશે.
મોરબી જિલ્લામાં નર્મદાની માળિયા, ધ્રાંગધ્રા અને મોરબી બ્રાન્ચ કેનાલો આવે છે અને આ કેનાલમાં છોડવામાં આવતું પાણી ખેડૂતોને સિંચાઈ માટે ઉપયોગી બનતું હોય છે જોકે વર્ષો પહેલા બનાવવામાં આવેલ કેનાલને રિપેર કરવા માટે થઈને ચાલુ વર્ષે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ગોકળગતી અને નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવે છે તેવી ફરિયાદ ધારાસભ્યને મળી હતી જેથી અઠવાડિયા પહેલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં નર્મદાનાં ચીફ ઇજનેરને સાથે રાખીને સર્કિટ હાઉસ ખાતે મિટિંગ કરવામાં આવી હતી જેમાં ચીફ ઇજનેરને સમયસર કામ પૂરું કરવા માટે કહેવામા આવ્યું હતું.
જો કે, આઠ દિવસ પછી પણ કામ શરૂ કરવામાં આવ્યું નથી તેવી જાણ ખેડૂતો દ્વારા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને કરવામાં આવી હતી જેથી કરીને ગઇકાલે બપોરે ધારાસભ્ય કેનલે પહોચ્યા હતા અને ત્યારે હરીપર તેમજ ભરતનગર સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો તેઓની સાથે રહ્યા હતા. અને ત્યાં નર્મદાની ધાંગધ્રા કેનાલ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ એક મહિના કરતાં વધુ સમય પહેલા કરી નાખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું જો કે, રિપેરિંગ કરવામાં આવતું ન હતું જેથી ખેડૂતોને કેનાલ મારફતે ચોમાસા પહેલા પાણી મળશે કે કેમ તેવો સવાલ ઊભો થયો હતો જેથી મોરબીના ધારાસભ્ય કાંતિભાઈએ નર્મદા નિગમના ચીફ ઇજનેરને ફોન કરીને કોન્ટ્રાક્ટર તથા નીચેના ઇજનેરોની બેદરકારીના લીધે પ્રજાના પૈસા બગાડે છે અને ખેડૂતોને પાણી ન મળે તેવી સ્થિતિ ઊભી થયેલ છે જેથી યોગ્ય સૂચના આપવા માટે ખખડાવ્યા હતા અને ખેડૂતોને વહેલામાં વહેલી તકે કેનલ મારફતે પાણી મળે તે માટે થઈને કોન્ટ્રાક્ટરને કામ કરવા માટે સૂચના દેવામાં આવી હતી.
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યુ હતું કે, કેનાલમાં કેટલીક જગ્યાએ કોન્ટ્રાકટરના માણસો દ્વારા બાંધકામ વેસ્ટ નાખવામાં આવેલ છે તેને બહાર કાઢવા માટે અને કહેવામા આવ્યું છે અને છેલ્લા ઘણા વર્ષોથી કેનાલના સાઇફન પણ સાફ કરવામાં આવેલ નથી જેથી તેને પણ સાફ કરવામાં આવે તે અનિવાર્ય છે. અને જો બાંધકામ વેસ્ટ સાયફનમાં ભરાઈ જાય અને કેનાલ ઉપર જોખમ ઊભું થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે બાંધકામ વેસ્ટને કેનાલની બહારના ભાગમાં ફેકવા માટે પણ સૂચના આપી હતી જેથી માણસોને આજથી જ અધિકારીએ કામે લગાડી દીધેલ છે.
આ કેનાલમાંથી સિંચાઇ માટેનું પાણી લેતા અમૃતભાઈ પટેલ, ભરતભાઇ હળવદિયા અને હિતેશભાઈ પટેલ વિગેરે ખેડૂતોએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, છેલ્લા ઘણા સમયથી કેનાલને રિપેરિંગ માટે તોડી નાખવામાં આવેલ હતી જો કે, કામ બંધ હતુ પરંતુ ધારાસભ્યએ ગઇકાલે અધિકારીને ખખડાવ્યા પછી આજે સવારથી કોન્ટ્રાક્ટર દ્વારા મોરબીના હરીપર અને ભરતનગર ગામ વચ્ચે કેનાલનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
જો કે, હાલમાં જે રીતે ગોકળગતીએ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તે જોતા તા 31 મે સુધીમાં કામગીરી પૂર્ણ કરીને કેનાલમાં પાણી છોડવાની અધિકારીઓ વાતો કરે છે તે મુજબ પાણી કેનાલમાં આવે તેવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી. ત્યારે આગામી ચોમાસા પહેલા આ કેનાલમાં પાણી છૂટે અને ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આ કેનાલમાંથી મળે છે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે.