હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત
SHARE
હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત
હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે આવેલ તળાવમાં બુધવારે બપોરના સમયે ન્હાવા માટે ત્રણ યુવાનો પડ્યા હતા અને તે પાણીમાં ડૂબવા લાગ્યા હતા જેથી ગામના લોકો દ્વારા પાણીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જો કે ત્રણમાંથી બે યુવાનોને પાણીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા પરંતુ પાણીમાં ડૂબી જવાના કારણે એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે
હળવદના ઘનશ્યામપુર ગામે માલધારીના ઘેટાના ઉન કાપવા માટે થઈને ડીસા શહેરના ગંજીવાસ વિસ્તારમાં રહેતા મોહમ્મદભાઈ ફકીર, અરમાનભાઈ કુરેશી અને સબીરભાઈ કુરેશી નામના યુવકો આવ્યા હતા અને ઘનશ્યામપુર ગામે માલધારીના ઘેટાના ઉનને કાપવાની કામગીરી પૂરી કર્યા બાદ આ યુવાનો ગામની બાજુમાં આવેલ તળાવમાં ન્હાવા માટે પડ્યા હતા અને ત્યાં તળાવમાં ન્હાતા સમયે તે ત્રણેય યુવાનો અચાનક પાણીમાં ડૂબવા લાગ્યા હતા જેથી તેને બચાવવા માટે થઈને સ્થાનિક લોકો દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા દરમિયાન પાણીમાં ડૂબી રહેલા ત્રણ યુવાનો પૈકી બે યુવાનોને સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા જોકે, એક યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી આ અંગેની ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરના જવાનો અને તરવૈયાઓ દ્વારા પાણીમાં ડૂબી ગયેલા યુવાને શોધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને સાંજના સમયે ફાયરની ટિમ અને તરવૈયાઓ દ્વારા મહમદભાઈ ફકીર (25) નામના યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે