માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર
SHARE
માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર
માળીયા (મી) હળવદ રોડ ઉપર હોટલે નાસ્તો કરવા માટે ગયેલા યુવાન ઉપર ફાયનાન્સ પેઢી સંચાલકના માણસોએ રૂપિયાની લેતી દેતી બાબતે છરી વડે હુમલો કરીને હત્યા કરી હતી જે બાબતે નોંધાયેલ ગુનામાં પોલીસે 6 આરોપીની ધરપકડ કરી હતી અને આ આરોપીઓને 5 દિવસના રિમાન્ડની માંગણી સાથે માળીયાની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુકૃપા ટાઉનશીપમાં રહેતા મૂળ જેતપર ગામના રહેવાસી અનિલ હરિલાલ કંડિયા (28) નામનો યુવાન ગૌરક્ષક તરીકે પણ કામ કરે છે અને તે તેના ગૌરક્ષક મિત્રોની સાથે માળીયા હળવદ રોડ ઉપર અબોલજીવ ભરેલ વાહનની વોચ રાખીને બેઠો હતો અને ધૈર્ય હોટલ પાસે તમામ મિત્રો નાસ્તો કરવા ગયા હતા ત્યારે ઇકો ગાડીમાં આવેલા 5 શખ્સોએ તેના ઉપર છરી વડે હુમલો કરીને તેને પડખાના ભાગે છરીના જીવલેણ ઘા માર્યા હતા અને તેની હત્યા કરી હતી જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના મોરબીમાં રહેતા મિત્ર વિવેક વિનોદભાઈ પટેલે માળીયા તાલુકા પોલીસ સ્ટેશને હોથલ ફાયનાન્સ વાળા મોહન ઉર્ફે શીવમભાઇ ભગવાનજીભાઇ ભુંભરીયા તેમજ રમેશભાઇ ઉર્ફે રામો અરજણભાઇ રબારી, પુથ્વીરાજસિહ ભગીરથસિહ ઝાલા, ગુલામહુસૈન મહેબુબભાઇ પઠાણ, કિશનભાઇ અમરશીભાઇ ચૌહાણ અને હીરાભાઇ રવજીભાઇ ઉલવા રહે. બધા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ આરોપીઓને 5 દિવસના રિમાન્ડની માંગણી સાથે માળીયાની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
વધુમાં હત્યાના આ બનાવ સંદર્ભે મોરબીના ડીવાયએસપી જે.એમ.આલની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, જેની હત્યા કરવામાં આવી તે અનિલ સહિતના ગૌરક્ષકોને બાતમી મળી હતી કે, માળિયા ધ્રાંગધ્રા હાઈવે રોડ ઉપરથી પાડા ભરેલ આઈસર પસાર થવાનું છે જેથી તેઓ ત્યાં વોચ રાખીને બેઠા હતા અને ધૈર્ય હોટેલે તમામ મિત્રો નાસ્તો કરવા ગયા હતા ત્યારે ઇકો ગાડીમાં રમેશ રબારી, કિશન ચૌહાણ, પૃથ્વીરાજસિંહ ઝાલા, હીરાભાઈ ઉલવા અને ગુલામ હુશેન પઠાણ ત્યાં આવ્યા હતા અને તે બધાના હાથમાં છરી હતી ત્યારે અનીલ કંડિયાને આરોપીઓએ કહ્યું હતું કે, “અમને બધાને હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારીએ મોકલ્યા છે તું કેમ શિવમભાઈના પૈસા આપતો નથી” અને ત્યાર બાદ ઝઘડો કર્યો હતો અને અનિલભાઈને મારી નાખવાના ઈરાદે છરીના ઘા કિશન ચૌહાણ અને રમેશ રબારીએ માર્યા હતા.
ત્યાર બાદ અનિલને બચાવવા ફરિયાદી વચ્ચે પડતા તેને પૃથ્વીરાજસિંહે છરીનો ઘા માર્યો હતો અને બાદમાં આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. જેથી ઇજા પામેલ અનિલ અને ફરિયાદીને સારવારમાં લઈ ગયા હતા તેવામાં અનિલ કંડિયાનુ મોત નીપજયું હતું. મૃતક અનિલ કંડિયાએ હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી પાસેથી રૂપિયા લીધેલ હતા. જે બાબતે શિવમ રબારીએ કાવતરું કરીને તેની હત્યા કરાવી છે. હાલમાં પોલીસે આરોપીઓને પકડીને ગુનાના કામે વપરાયેલ ઇકો ગાડી નં. જીજે 36 બી 3749 ને પણ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરેલ છે.