હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી
SHARE
હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી
હળવદ શહેરમાં શરણેશ્વર મહાદેવ મંદિર પાસે નવનિર્મિત આર. સી. સી. રોડના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવેલી ગંભીર ગેરરીતિ સામે આવી છે. રેતીની જગ્યાએ ભૂસી નાખીને નબળી ગુણવત્તાનું કામ કરવામાં આવતું હોવાની ફરિયાદ બાદ મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી દ્વારા સ્થળ પર પહોંચી કામગીરી અટકાવી દેવામાં આવી હતી.
આ અંગે જાગૃત નાગરિકોની રજૂઆત મળતા મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તપન દવે શરણેશ્વર મંદિર પાસે ચાલતા આર. સી. સી. રોડના કામની મુલાકાતે પહોંચ્યા હતા. સ્થળ તપાસ દરમિયાન કોન્ક્રીટ મિશ્રણમાં રેતીને બદલે ભૂસી અને હલકી ગુણવત્તાની સામગ્રી વપરાતી હોવાનું ખુલ્યું હતું. આ મામલે તાત્કાલિક કામગીરી અટકાવી દેવામાં આવી અને હળવદ નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી.મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તપન દવેએ કડક શબ્દોમાં જણાવ્યું કે, "જાગૃત નાગરિક તરીકે મેં કામગીરી અટકાવી છે. પ્રજાના ટેક્સના પૈસાથી બનતા કામમાં ગેરરીતિ સાંખી લેવાશે નહીં. જો કામગીરીમાં હજુ પણ ગેરરીતિ જણાશે તો કોન્ટ્રાક્ટ કંપનીને બ્લેકલિસ્ટ કરવાની કામગીરી પણ અમે કરીશું. કોન્ટ્રાક્ટરે નિયમ મુજબ જ કામ કરવું પડશે."
હળવદ નગરપાલિકા પ્રમુખ વિશાલ રાવલે આ મામલે તાત્કાલિક પગલાં લીધા હતા. તેમણે જણાવ્યું કે, "કોન્ટ્રાક્ટરને નોટિસ આપી દેવામાં આવી છે. નબળી ગુણવત્તાવાળો રોડ જે બનાવેલ છે તેને સંપૂર્ણ તોડી ફરીથી નિયમ મુજબનો રોડ બનાવવા માટેની સૂચના આપવામાં આવેલી છે. જ્યાં સુધી નિયમ મુજબનું કામ ન થાય ત્યાં સુધી તેનો એક પણ બિલ મંજૂર કરવામાં નહીં આવે.
નગરપાલિકા દ્વારા ટેકનિકલ ટીમને સ્થળ પરથી સેમ્પલ લઈ લેબ ટેસ્ટિંગ માટે મોકલવા સૂચના આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટરને નિયમ મુજબ ફરીથી કામ કરવા 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે.RCC રોડ માટે PWD ના નિયમ મુજબ ખ-20 કે M-25 ગ્રેડનો કોન્ક્રીટ વાપરવો ફરજિયાત છે. જેમાં સિમેન્ટ, રેતી, કપચીનું પ્રમાણ નક્કી હોય છે. રેતીની જગ્યાએ ભૂસીનો ઉપયોગ ગેરકાયદેસર છે અને તેનાથી રોડની મજબૂતાઈ પર સીધી અસર પડે છે. આવો રોડ ચોમાસામાં તૂટી જવાની શક્યતા રહે છે.મંદિરે આવતા ભાવિકો અને વેપારીઓએ તંત્રની ઝડપી કાર્યવાહીને આવકારી છે. "નવો રોડ 6 મહિનામાં તૂટી જાય તેના કરતા પહેલેથી જ ગુણવત્તા જળવાય તે જરૂરી છે" એમ સ્થાનિકોએ જણાવ્યું