મોરબીના બે જુદા-જુદા વિસ્તારોમાંથી બે પરણીતાઓ ગુમ
SHARE
મોરબીના બે જુદા-જુદા વિસ્તારોમાંથી બે પરણીતાઓ ગુમ
મોરબીના બે જુદા-જુદા વિસ્તારોમાંથી બે પરિણીતાઓ ગુમ થયેલ છે.જે બાબતે પોલીસમાં જાણ કરાતા પોલીસે ગુમસુધા નોંધ દાખલ કરીને ગુમ થયેલ પરણીતાઓની શોધખોળ શરૂ કરી છે
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ પાસે આવેલ ભારતી વિદ્યાલય વાળી શેરીમાં રહેતા રાકેશભાઈ દેવશીભાઈ ચાવડા (દલવાડી) નામના ૩૪ વર્ષના યુવાને પોલીસ સ્ટેશન ખાતે જાહેર કર્યું હતું કે ગત તા.૧૧-૬ ના બપોરના ૧૨:૩૦ વાગ્યાના અરસામાં તેઓના પત્ની ક્રિષ્નાબેન રાકેશભાઈ ચાવડા (ઉમર ૨૧) ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ગુમ થઈ ગઈ છે અને તેણીનો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવે છે.જેથી હાલ પોલીસમાં જાણ કરવામાં આવેલ છે.તેમજ અન્ય એક બનાવમાં મોરબી સામાકાંઠે મહેન્દ્રનગર પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં ખોડીયાર મંદિરની પાસે રહેતા વિજયભાઈ કાળુભાઈ લાકડીયા જાતે સલાટ (૨૮) નામના યુવાને પોલીસમાં જાણ કરી હતી કે તેમના પત્ની કાજલબેન વિજયભાઈ લાકડીયા (ઉમર ૨૮) તા.૧૩-૬ ના સવારે આઠેક વાગ્યે ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર નીકળી ગયેલ છે.જેથી હાલ પોલીસ દ્વારા આ બાબતે ગુમશુધા નોંધ દાખલ કરવામાં આવેલ છે.આ બંને બાબતે નોંધ કરીને બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા તથા સ્ટાફના લક્ષ્મણભાઈ આહીર તેમજ કિશનભાઇ મોટાણી દ્વારા ગુમ થયેલા ક્રિષ્નાબેન અને કાજલબેનની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ગુમ થયેલ મળી આવ્યા
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં શનાળા ગામ પાસે આવેલ લાયન્સનગર વિસ્તારમાંથી થોડા સમય પહેલાં લક્ષ્મીબેન સાગરભાઇ દલસુખભાઈ વિકાણી નામની ૨૯ વર્ષીય મહિલા ગુમ થઈ હતી.જે બાબતે ગુમસુધા નોંધ દાખલ કરવામાં આવી હતી.બાદમાં ગુમ થયેલા લક્ષ્મીબેન દસાડા ખાતેથી મળી આવેલ હોય હાલ પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસ અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
સગીરાનું અપહરણ
મૂળ મધ્યપ્રદેશના અને હાલ મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમ વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીરવયની દીકરીનું અજાણ્યો ઇસમ અપહરણ કરી ગયો હોય આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધવવામાં આવેલ છે.જેથી હાલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો છે.અને આ બાબતે તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. તિવારી તથા સ્ટાફ આગળની તપાસ ચલાવી રહ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.