મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ
SHARE
મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ
મોરબી સીટી એ તથા બી ડીવીઝન પોલીસે શહેરના જુદા જુદા પાંચ વિસ્તારોમાં રેડ કરી હતી. જે દરમ્યાન કુલ 36 બોટલ દારૂ મળી આવતા ગુના નોંધીને આગળની તપાસ કરવામાં આવી હતી.
મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટાફે સામાકાંઠે રેડ કરી હતી જેમાં વોડકાની સાત બોટલ કિંમત રૂા.693નો મુદામાલ રીક્ષા ચાલક સંજય ઉર્ફે ટીડો જલારામભાઈ સનુરા કોળ (32) રહે. ત્રાજપર સામાકાંઠે પાસેથી મળી આવ્યો હતો તેણે આ જથ્થો સુનિલ સુરેલા પાસેથી મેળવ્યો હોવાનું ખુલતા બંને સામે ગુનો નોંધી પોલીસે આગળની તપાસ કરી હતી.બી ડીવીઝન પોલીસ સ્ટાફે નવલખી રોડ, સેન્ટમેરી સ્કુલ પાસેના જલારામ એપાર્ટમેન્ટ ખાતે રેડ કરી ત્યારે ત્યાંથી દારૂની 13 બોટલ મળી આવેલ હોય રૂા.1170ના મુદામાલ સાથે સાગર કાંતીલાલ પલાણ (32) રહે. જલારામ એપા.ની ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કરી તે આ માલ કયાંથી લાવ્યો હતો તે દિશામાં આગળની તપાસ હાથ ધરેલ છે.
જયારે એ ડીવીઝન પોલીસ સ્ટાફે પંચાસર રોડ ઉપર આવેલા રાજનગર વિસ્તારમાં રેડ કરી ત્યારે 11 બોટલ દારૂ મળી આવતા રૂા.2200નો મુદામાલ જપ્ત કર્યો હતો. જે બનાવમાં તુલસી હસમુખભાઈ સંખેશરીયા સામે ગુનો નોંધી તેણે કયાંથી માલ મેળવ્યો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવેલ છે. શહેરના નવાડેલા રોડ ઉપર રહેતા હિતેષ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકીયાને ત્યાં રેડ કરવામાં આવતા ત્યાંથી દારૂની ચાર બોટલો મળી આવતા રૂા.4800ના જથ્થાને જપ્ત કરી હિતેષ ધોળકીયા (36) ની અટકાયત કરી આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરવામાં આવી હતી.
જયારે પંચાસર રોડ પાસેથી નીકળેલા અનંત અવચર પટેલ (45) રહે. ધર્મવિજય સોસાયટી છાત્રાલય રોડને ચેક કરતા એક બોટલ મળી આવેલ હોય ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.
મારામારીમાં ઈજા
લાતીપ્લોટ શેરી નં.5માં આવેલ નવદુર્ગા ટ્રાન્સપોર્ટ પાસે અનીલ પ્રવીણભાઈ ગણેશીયા (32) રહે. કાલીકા પ્લોટ ઉપર દાનેશ નામના માણસે પતરા વડે હુમલો કરી માર માર્યો હતો. જેથી અનીલભાઈને સીવીલે સારવાર માટે લઈ જવાયા હતા. જયારે વાવડી રોડ ગાયત્રીનગરમાં રહેતા પરીવારની પડીબેન જયેશભાઈ શાહની (11) નામની બાળકી રમતી હતી ત્યારે કોઈ જીવજંતુ કરડી જતા સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી.
આધેડ સારવારમાં
શનાળા રોડ ન્યુ હા.બોર્ડમાં રહેતા ભરતગીરી ચંદ્રગીરી ગોસ્વામી (56)એ ઘરે ફીનાઈલ પી લેતા તેઓને અત્રેની સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ પૈસાની લેતીદેતી મામલે બનાવ બન્યો હતો. જયારે વાવડી રોડ રામપાર્કમાં રહેતા અંજુબેન નયનભાઈ માંડવીયા (27) તેમના ઘરે સફેદ ટીકડીઓ પી જતા અસર થતા સીવીલે ખસેડાયા હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.
ટંકારા ખાતે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલા વિપુલ ગોગજીભાઈ આદ્રોજીયા (28) અને નીતુબેન કેશુભાઈ આદ્રોજીયા (43)ને ઈજાઓ થતા અહીંની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.









