મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ
SHARE
મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ
દેશમાં રાષ્ટ્રીય પર્વ નિમિતે દરેક સ્થળો ઉપર તિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીમાં મોક્ષધામ એટલે કે સ્મશાનમાં પણ તિરંગો લહેરાયો હતો. આ વતા સાંભળીને ચોકી જવાની જરૂર નથી કેમ કે, આજે દેશભરમાં જુદીજુદી જગ્યાઓ પર તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીની ભારતી વિદ્યાલય શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના મનમાં મોક્ષધામને લઈને જે ડર હોય તે દુર થાય તેવી ભાવના સાથે અને શાંતિના પ્રતિક સમાન મોક્ષધામ ખાતે તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી
દેશભરમાં આજે 80 માં સ્વાતંત્રય પર્વ નિમિતે આન, બાન અને શાનથી ખુલ્લા આકશમાં તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ભરતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સોનાપુરી સ્મશાન ખાતે જઈને ત્યાં ખુલ્લા આકાશમાં કોર્પોરેટર ભૂપતભાઇ જારીયા અને કેયૂરભાઈ પંડ્યાના હસ્તે તિરંગો લહેરાવીને સલામી આપવામાં આવી હતી અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ તકે શાળામાં વિદ્યાર્થીઓ તેમજ તેઓના વાલીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સમગ્ર ભારતમાં એક માત્ર મોરબીની આ શાળા દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવવામાં આવેલ છે.
ભારતી વિદ્યાલયના પ્રમુખ હિતેશભાઇ મહેતા અને સંચાલક કૌશલભાઈ મહેતાએ જણાવ્યુ હતું કે, ખાસ કરીને સ્મશાન કે જે જગ્યાએ સામાન્ય રીતે લોકો મૃત્યુ પામે પછી જ જવાનું હોય છે તેવી માન્યતા બાળકોના મનમાં હોય છે તેને દુર કરવા માટે અને સ્મશાન પણ પવિત્ર ભૂમિ છે અને ત્યાં પણ તિરંગો લહેરાવી શકાય અને સલામી આપી શકાય તેવો મેસેજ નાના બાળકોથી લઈને તમામ દેશવાસીઓને આપવા માટે વર્ષ 2015 થી ભારતી વિદ્યાલય શાળા દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવવામાં આવે છે અને ત્યાર પહેલા શાળાથી લઈને સ્મશાન સુધીની વિદ્યાર્થીઓની રેલી યોજાઇ છે તે સમયે ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારાથી માર્ગો ગુંજી ઉઠ્યા હતા.
મોરબીની ભારતી વિદ્યાલય શાળા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સ્મશાન ખાતે કરવામાં આવી હતી જેનો મુખ્ય ઉદેશ વિદ્યાર્થીઓ નાનપણથી જ મોક્ષધામ કે જે ખરેખર પવિત્રધામ છે અને ત્યાં શાંતિ હોય છે એટલે તેને શાંતિનું ધામ પણ કહે છે. સામાન્ય રીતે દરેક જીવ માત્રનો અંતિમ પડાવ મોક્ષધામ હોય છે તેનાથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય તેમજ સ્માશન નામ પડતાની સાથે જ બાળકોના મનમાં જે ચિત્ર ઉભું થાય છે તેના કરતા વાસ્તવિક ચિત્ર કેટલું વિપરીત હોય છે તેની સમજણ કેળવાય તે માટે સ્મશાન ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે.
આજના દિવસે દરિયાથી લઈને પહાડ સુધી દરેક જગ્યાએ તિરંગો લહેરાવીને દેશવાસીઓ દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે ન માત્ર મોરબી કે ગુજરાત પરંતુ ભારતમાં એક માત્ર મોરબી શહેરની અંદર સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી છે જો કે, પ્રત્યેક ભારતીય નાગરિકના દિલમાં તિરંગો જે દિવસે લહેરાઈ જશે તે દિવસે ભારત સ્વર્ગ સમાન બની જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.