મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા
મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો
SHARE
મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો
મોરબીમાં આવેલ શ્રી સરસ્વતી શિશુમંદિર મોરબી ખાતે વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ 2026 અંતર્ગત આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વિશેષ વાર્તાલાપ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વર્લ્ડ હિન્દુ કોંગ્રેસના મુખ્ય શિલ્પી સ્વામી શ્રીવિજ્ઞાનાનંદજી ઉપસ્થિત રહ્યા હતા અને વૈશ્વિક સ્તરે હિન્દુ સમાજના આર્થિક સશક્તિકરણ અને સંગઠન અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન સ્વામી શ્રીવિજ્ઞાનાનંદજીએ જણાવ્યું હતું કે વિશ્વના વિવિધ દેશોમાં વસતા હિન્દુઓ આર્થિક અને ભૌગોલિક-રાજકીય ક્ષેત્રે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. ભારતના આર્થિક વિકાસ તેમજ ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપરંપરાના વૈશ્વિક પ્રસાર માટે હિન્દુ સમાજનું યોગદાન મહત્વપૂર્ણ છે. હિન્દુ સમાજ આર્થિક રીતે વધુ મજબૂત બને અને વૈશ્વિક સ્તરે પોતાનું નેતૃત્વ વિકસાવે તે માટે વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ મહત્વપૂર્ણ મંચ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ માત્ર ચર્ચા અને ચિંતનનું મંચ નથી, પરંતુ વિશ્વભરના હિન્દુઓને એકત્રિત કરી તેમના વ્યવસાયોને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી તકો અને બજારો સાથે જોડવાનું કાર્ય કરે છે. ખાસ કરીને વૈશ્વિક બજાર સુધી પહોંચ, મૂડીની ઉપલબ્ધતા, ટેક્નોલોજીનો સ્વીકાર, માનવ સંસાધનોનું સંકલન અને યુવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન જેવા વિષયો પર ભાર મૂકવામાં આવ્યો.
તેમણે વિશ્વભરના હિન્દુ વેપારીઓ અને ઉદ્યોગપતિઓને પરસ્પર સહકાર અને વિશ્વાસનું નેટવર્ક ઊભું કરી એકબીજાને આગળ વધારવા આહ્વાન કર્યું હતું. આર્થિક સમૃદ્ધિનું સર્જન કરીને તેનો ઉપયોગ સમાજના વ્યાપક હિતમાં કરવામાં આવે તો સશક્ત અને સમૃદ્ધ સમાજનું નિર્માણ થઈ શકે છે તેમ તેમણે જણાવ્યું હતું. જે કાર્યક્રમ આગામી વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ 2026, મુંબઈ અંગે પણ માહિતી આપવામાં આવી હતી અને મુંબઈના કાર્યક્રમમાં આવવા માટે રજીસ્ટ્રેશન કરવાનું આહ્વાન પણ કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમ આગામી ૧૮થી ૨૦ ડીસેમ્બર ૨૦૨૬ ના દિવસે જીઓ કોનવેન્શન સેન્ટર ખાતે વિશ્વભરના હિન્દુ સમાજને એક મંચ પર લાવી શિક્ષણ, અર્થતંત્ર, સમાજ, સંસ્કૃતિ અને ધર્મના ક્ષેત્રે પરસ્પર સહકાર વધારવાનો આ પ્રયાસ હોવાનું જણાવાયું હતું.
આ કાર્યક્રમમાં પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકજી ડૉ. ભાડેશિઆ સાહેબ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના હરિ સ્મરણ સ્વામીજી તેમજ મોરબીના વેપારીઓ, ઉદ્યોગપતિઓ, યુવાનો તથા વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યક્રમના સંયોજક દિનેશ હરિપરા (પ્રમુખ, મોરબી જીલ્લા લઘુ ઉદ્યોગ ભારતી, ઉપપ્રમુખ મોરબી પેપરમીલ એસો.), સહ સંયોજક હસમુખભાઈ હાલપરા (ખજાનચી મોરબી જીલ્લા લઘુ ઉદ્યોગભારતી), સવજીભાઈ રંગપરીયા (મંત્રી મોરબી જીલ્લા લઘુ ઉધૌગ ભારતી), રાજેશભાઈ અરેણીયા (સી.એ) તેમજ અલગ અલગ સંપર્ક ગટના સંયોજકો, સહસંયોજકો તેમજ વ્યવસ્થા ટોળીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.









