મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો
SHARE
મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો
મોરબી માર્કેટ યાર્ડની 14 બેઠકો માટે ચૂંટણીનું મતદાન યોજાયું હતું અને આ ચુંટણીમાં સહકાર પેનલ અને પરીવર્તન પેનલ આમને સામને હતી જો કે, વેપારી પેનલમાં 100 ટકા મતદાન થયું છે જયારે ખેડૂત પેનલમાં 96 ટકા જેટલું મતદાન થયું છે જેથી કરીને હાલમાં બંને પક્ષના આગેવાનો દ્વારા જીતના દાવા કરવામાં આવે છે પરંતુ કાલે બપોર સુધીમાં મોટાભાગની મત ગણતરી પૂરી થઈ જશે જેથી કરીને યાર્ડની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
મોરબીમાં આવેલ માર્કેટ યાર્ડમાં વેપારી પેનલની 4 અને ખેડૂત પેનલની 10 આમ કુલ મળીને 14 બેઠકો માટે ચૂંટણીનું મતદાન યોજાયું હતું અને આ ચુંટણીમાં 14 બેઠકોની સામે 25 આગેવાનો મેદાનમાં હતા જેમાંથી ખેડૂતો અને વેપારીઓએ તેઓના પ્રતિનિધિને ચૂંટી કાઢવા માટે મતદાન કર્યું હતું અને બુધવારે સવારે નવ વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધીમાં માર્કેટ યાર્ડની 14 બેઠકો માટે મતદાન ચાલુ રાખવામા આવ્યું હતું જેમાં ખેડૂત પેનલમાં 1507 પૈકી 1448 મતદારોએ મતદાન કર્યું હતું જો કે, વેપારી પેનલમાં માત્ર 51 જ મતદાર હોય 100 ટકા મતદાન થયું છે. જોકે, ગુરુવારે સવારે 9 વાગ્યાથી મતપેટીઓ ખોલવાનું શરૂ કરવામાં આવશે અને લગભગ બપોર સુધીમાં યાર્ડની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અને આ ચૂંટણી પહેલા લગભગ છેલ્લા 4 મહીનથી મોરબી જીલ્લામાં ખાનગી વીજ કંપની પાસેથી વીજપોલ સામે વળતર મેળવવા માટે જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેની અસર આ ચુંટણીમાં કેવી રહે છે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે.