હળવદના કૃષ્ણનગરમાં ઉછીના લીધેલા રૂપિયા પાછા ન આપતા યુવાન અને તેના માતા-પિતાને ત્રણ શખ્સોએ માર માર્યો
SHARE









હળવદના કૃષ્ણનગરમાં ઉછીના લીધેલા રૂપિયા પાછા ન આપતા યુવાન અને તેના માતા-પિતાને ત્રણ શખ્સોએ માર માર્યો
હળવદ તાલુકાના કૃષ્ણનગર ગામે રહેતા યુવાને અગાઉ ઉછીના લીધેલા પૈસા પાછા આપેલા ન હતા જે બાબતનો ખાર રાખીને ત્રણ શખ્સ તેના ઘરે આવ્યા હતા અને ત્યારબાદ લોખંડના પાઇપ અને ધોકા વડે તેને માર માર્યો હતો તેમજ તેના માતા-પિતાને પણ ગાળો આપીને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને હળવદ પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના કૃષ્ણનગર ગામે રહેતા હસમુખભાઇ ખીમજીભાઈ ચાવડા જાતે દલવાડી (૩૦) એ હાલમાં ધર્મેન્દ્રભાઈ ચમનભાઈ ગોઠી, પંકજભાઈ ચમનભાઈ ગોઠી અને મેરૂભાઈ કાળુભાઈ રહે. ત્રણેય હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, આરોપી ધર્મેન્દ્રભાઈ ચમનભાઈ ગોઠી પાસેથી તેણે ઉછીના રૂપિયા લીધા હતાં જે પાછા આપ્યા ન હતા તે બાબતનું મનદુઃખ રાખીને ત્રણેય આરોપીઓ લોખંડના પાઇપ લઈને તેના ઘરે આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ તેને માથા અને પગના ભાગે ધોકા ફટકાર્યા હતા અને ગાળો આપી હતી તેમજ તેના માતા-પિતાને પણ ગાળો આપીને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
એસિડ પી લેતા યુવાન સારવારમાં
મોરબીના જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામે રહેતા પંકજભાઇ હેમંતભાઈ પરમાર નામના ૩૩ વર્ષીય યુવાને એસિડ પી લીધું હતું.જેથી તેને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી મોરબી તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવતા બીટ વિસ્તારના જમાદાર ફિરોજભાઈ સુમરા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ખૂલ્યું હતું કે પંકજભાઈને તેમના પત્ની સાથે નજીવી વાતે ઘરકંકાશ રહેતો હોય અને પતિ-પત્ની વચ્ચે થયેલા ઘરકંકાસને લઈને માઠુ લાગી આવતાં તેમણે ઉપરોક્ત પગલું ભર્યું હતું અને હાલ તેઓ સારવાર હેઠળ છે.
વાહન અકસ્માતમાં ઇજા
વાંકાનેર ખાતે રહેતા મગનભાઈ રામજીભાઈ સોલંકી નામનો ૪૩ વર્ષીય યુવાન બાઈકમાં જતો હતો ત્યારે વાંકાનેરના મેઇન રોડ ઉપર તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતાં સારવાર માટે મોરબીની સદભાવના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.
