મોરબીમાં કારમાં આગ લાગતા દરવાજા લોક થઈ જવાથી સિરામિક ઉદ્યોગપતિનું કારમાં જ મોત
મોરબીના કોયલી નજીક 100 ટકા ભરાયેલ ડેમી-૩ ડેમ ખાલી કરવાના સરકારના આદેશ સામે ખેડૂતોમાં ભારોભાર આક્રોશ: પાણી નદીમાં ન છોડવા ખેડૂતોની માંગ
SHARE








મોરબીના કોયલી નજીક 100 ટકા ભરાયેલ ડેમી-૩ ડેમ ખાલી કરવાના સરકારના આદેશ સામે ખેડૂતોમાં ભારોભાર આક્રોશ: પાણી નદીમાં ન છોડવા ખેડૂતોની માંગ
મોરબી જિલ્લામાં કોયલી ગામ પાસે આવેલ ડેમી-૩ ડેમ નું ટેકનિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેના રિપોર્ટ આધારે આ ડેમ હાલમાં 100% ભરેલો છે અને તે ડેમને 100% ખાલી કરવા માટે તેને સરકારમાંથી આદેશ આપ્યો છે ત્યારે આ ડેમના પાણીમાંથી સિંચાઈ માટે પાણી મેળવતા આસપાસના સાત ગામના ખેડૂતો હાલમાં ડેમ ખાતે એકત્રિત થયા હતા અને તેમના દ્વારા આ ડેમને અત્યારે ખાલી ન કરવામાં આવે તે પ્રકારની રજૂઆત સિંચાઈ વિભાગના અધિકારીને કરવામાં આવી છે અને ડેમમાં પાણી ન હોય તો ઉનાળુ પાક લઇ શકેલ નથી તેમજ વધુ વરસાદના કારણે ચોમાસુ પાક નિષ્ફળ ગયેલ છે તેવી જ રીતે રવિ પાક પણ આ વિસ્તારના ખેડૂતો ન લઈ શકે તેવી પરિસ્થિતિ ઉભી થવાની શક્યતા છે જેથી કરીને ડેમનું પાણી ખાલી ન કરવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે
મોરબી જીલ્લામાં ૧૦ ડેમ આવેલ છે તે પૈકીનાં મોરબીના કોયલી ગામ પાસે આવેલ ડેમી-૩ ડેમમા રીપેરીંગ કામ ગત જૂન મહિનામાં કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ચોમાસા દરમિયાન ગત ઓગસ્ટ મહિનામાં પડેલા ભારે વરસાદના કારણે આ ડેમની અંદર જે કુલ ૧૮ દરવાજા છે તે પૈકીના એક ૧૧ જેટલા દરવાજાને ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું તેમ છતાં પણ આ ડેમમાં કોઈ નુકસાની થયેલ નથી અને હાલમાં વરસાદએ વિરામ લીધો છે ત્યારે ડેમી-૩ ડેમ ૧૦૦% ભરેલો છે તેવા સમયે રાજ્ય સરકારમાંથી આ ડેમને સો ટકા ખાલી કરવા માટે થઈને આદેશ કરવામાં આવ્યો છે જેથી કરીને છે આ ડેમના નીચેના ભાગમાં આવેલા કોયલી, ધૂળકોટ, રામપર, નેસડા, ખાનપર, ચાંચાપર સહિતના ગામના ખેડુતો ડેમ ઉપર એકત્રિત થયા હતા અને ડેમના દરવાજા ન ખોલવા માટે તેને અધિકારીને રજૂઆત કરી હતી તેવું ખેડૂત આગેવાન લક્ષ્મણભાઇ જીલરીયાએ જણાવ્યુ છે.
મૂળ રામપરના રહેવાસી ખેડૂત અને કોંગ્રેસનાં આગેવાન મનોજ પનારાએ જણાવ્યુ હતું કે, દર વર્ષે ચોમાસા પછી આ ડેમમાંથી સાત ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું હોય છે અને તેના આધારે ખેડૂતો દ્વારા શિયાળુ પાક લેવામાં આવતો હોય છે ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોએ જે ઉનાળુ અને ચોમાસુ પાક લેવા માટે થઈને વાવેતર કર્યું હતું તે વાવેતર પર ખેતર બધું જ ધોવાઈ ગયું છે ત્યારે ડેમમાં ભરેલા પાણીના આધારે આગામી સમયમાં સિંચાઈ માટેનું પાણી મળશે અને રવિ પાક ખેડૂતો લઈ શકશે તેવી સૌ કોઈને આશા હતી પરંતુ સરકારે તેઓની આશા ઉપર પાણી ફેરવવા જેવો નિર્ણય લીધો છે કારણ કે જ્યારે ભારે વરસાદ હતો અને ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ છૂટતો હતો ત્યારે પણ આ ડેમને કોઈ મોટી ક્ષતિ થયેલ નથી ત્યારે હાલમાં જે પાણી ડેમની અંદર ભરેલું છે તેને નદીમાં છોડીને વેડફી નાખવાના બદલે ખેડૂતોને જો સિંચાઈ માટે પાણી મળે તે માટે ત્રણ મહિના પછી આ ડેમની અંદર જે કાંઈ રીપેરીંગ કામ કરવું હોય તે કરવામાં આવે તેવી લાગણી અને માંગણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે જોકે સરકાર દ્વારા ખેડૂતોની માગણી અને લાગણીને ધ્યાનમાં લઈને નિર્ણય લેવામાં આવશે કે કેમ તે આગામી સમય જ બતાવશે
વધુમાં સિંચાઈ વિભાગના અધિકારી નાયબ કાર્યપાલક ઇજનેર જે.જે. રાચ્છ પાસેથી મળી રહેલ માહિતી મુજબ વર્ષ ૨૦૦૨ થી ડેમી ત્રણ ડેમમાં પાણી ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે અને આ ડેમની કુલ ક્ષમતા ૩૩૯ એમસીએફટી છે જોકે હાલમાં આ ડેમની અંદર ૧૦૦ % પાણી ભરેલ છે અને થોડા પહેલા ડેમના સ્ટ્રક્ચર નું ટેસ્ટિંગ કરવામાં આવેલ છે તેનો રિપોર્ટ આવેલ છે જેના આધારે ડેમને ખાલી કરવાનો છે. જોકે ખેડૂતો દ્વારા ડેમ ખાલી કરવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સાત ગામના ખેડૂતો અને સરપંચ સહિતના આગેવાનો ત્યાં ડેમ ઉપર પહોંચ્યા હતા અને ડેમને ખાલી ન કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યો છે જેની સિંચાઈ વિભાગના સ્થાનિક અધિકારી દ્વારા ઉચ્ચ કક્ષાએ જાણ કરવામાં આવી છે.
હવે સરકાર તરફથી જે નિર્ણય આવશે તે મુજબ ડેમ ખાલી કરવો કે હાલમાં પાણી રહેવા દેવું તે અંગેનો નિર્ણય થશે તેવું અધિકારીએ જણાવ્યું છે સામાન્ય રીતે ચોમાસામાં ભારે વરસાદ પડે ત્યારે ડેમ ઉપર જોખમ ઊભું થતું હોય છે પરંતુ હવે જ્યારે ચોમાસુ લગભગ વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે ચોમાસાના પાણીથી સો ટકા ભરવામાં આવેલા ડેમને ખાલી કરવા માટેનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જો ખેડૂતોને અન્યાય થશે તો ખેડૂતો આંદોલન કરવા માટે પણ તૈયાર છે
