મોરબી જિલ્લામાં પાંચ દિવસમાં કરુણા અભિયાન હેઠળ 57 અબોલ જીવોની સારવાર કરાઈ
SHARE









મોરબી જિલ્લામાં પાંચ દિવસમાં કરુણા અભિયાન હેઠળ 57 અબોલ જીવોની સારવાર કરાઈ
રાજ્યમાં દર વર્ષે તા. 10 થી 20 જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં મોરબી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા કુલ 57 અબોલ જીવોની સારવાર કરવામાં આવી હતી. જેમાં 7 પક્ષી, 35 કુતરા, 11 ગાય, 4 બિલાડીની સારવાર કરવામાં આવી હતી.
મોરબી જિલ્લામાં 1962 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની ટીમના ડૉ.વિપુલ કાનાણી અને પાઈલોટ ભરતભાઇ કરમટા દ્વારા અનેક ઈજાગ્રસ્ત પશુ-પંખીઓની તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં આવી હતી અને તેમને નવજીવન આપવામાં આવ્યું હતું. પતંગની ઘાતક દોરીથી નિર્દોષ પશુ પક્ષીઓ, નાગરિકો ન ઘવાય તે માટેની સાવચેતી કેળવાય તેથી તમામ નાગરિકોને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ટીમ તેમજ રાજ્ય સરકાર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. કરૂણા અભિયાન દરમિયાન અબોલ જીવો જે પતંગના દોરાથી ઘાયલ હોય અને અન્ય કોઈ રીતે વધારે ગંભીર ઈજા કે બીમારીથી પીડાતા હોય તેની ખાસ સારવાર કરવામાં આવે છે. આગામી તા. 20 જાન્યુઆરી સુધી ચાલનારા આ અભિયાનમાં જો કોઈપણ નાગરિકને ક્યાંય પણ અબોલ જીવો કરુણ અવસ્થામાં જોવા મળે તો નિ:શુલ્ક હેલ્પલાઇન નંબર 1962 માં ફોન કરી તેમનો જીવ બચાવવા મોરબી જિલ્લાના પ્રોજેક્ટ મેનેજર ડૉ. સોહેબ ખાન અને મોરબી જિલ્લાના પ્રોજેક્ટ કૉ-ઑર્ડિનેટર જૈમિન પાટિલએ સર્વે મોરબીવાસીઓને અપીલ કરી છે.
