મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત
SHARE
મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી નજીક બંધ કારખાનામાં સિક્યુરિટીમેન તરીકે કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેટૂંપો ખાઈ લેતા તેનું મોત નિપજેલ છે.બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા જેતપર રોડ ઉપરના પાવડીયારીની નજીક બંધ પડેલા સાંકેત ટાઇલ્સ નામના કારખાનામાં સિક્યુરિટી મેન તરીકે કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના ઉદય પુષ્પેન્દ્રભાઈ આર્ય (કોરી) (ઉમર ૨૧) નામના અપરણીત પપપ્રાંતિય યુવાને કોઈ અગમ્ય કારણોસર લેબર કવાટરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી ઉદયભાઇ આર્યનું મોત થયેલ છે.બનાવ અંગે જાણ થતા તેના ડેડબોડીને અહિંની સિવિલે લાવવામાં આવ્યુ હતુ.હાલ તાલુકા પોલીસમાં જાણ થતા સ્ટાફના લાલભા ચૌહાણ દ્વારા આ બાબતે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
યુવાનનું મોત
મોરબીના હળવદ રોડ ઘુંટુ ગામ પાસેની રામકો સોસાયટી વિસ્તારમાં રહેતા સંજયભાઈ કનુભાઈ મુંજારીયા નામના ૪૬ વર્ષના યુવાનને કેન્સરની બીમારી માટે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જોકે સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું.બનાવની પોલીસમાં જાણ કરાતા પોલીસે રાબેતા મુજબ નોંધ કરી તપાસ કરી હતી.જ્યારે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ટોન્ઝા પેપર મીલના લેબર કવાટરમાં રહેતા મુન્નાભાઈ યાદવ નામના ૨૮ વર્ષના યુવાનને લેબર કવાટર ખાતે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના ગ્રીન ચોક પાસે આવેલી પખાલી શેરી વિસ્તારમાં રહેતા ફૈઝાન આલાભાઇ નામનો ૧૮ વર્ષનો યુવાન રાત્રિના બે વાગ્યાના અરસામાં દુકાને સફાઈ કામ કરતો હતો ત્યારે કોઈ કારણોસર થીનર શ્વાસમાં જતા તેને અસર થઈ હોય સારવાર માટે દવાખાને લઈ જવાયો હતો.
દવા પી જતા સારવારમાં
મોરબી તાલુકાના આમરણ ગામે દાવલશાવાસ નજીક આવેલ ભરવાડ શેરીમાં રહેતા વિમલભાઈ પ્રફુલભાઈ કાલાવડીયા નામના ૨૮ વર્ષના યુવાને દવા પી લીધી હતી જેથી કરીને તેને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવની હોસ્પિટલમાંથી પોલીસને જાણ કરવામાં આવતા સ્ટાફના ગીરીશભાઈ મારૂણીયા દ્વારા તપાસ કરવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે વિમલભાઈ કાલાવડીયાને ગામડામાં રહેવું પસંદ ન હોય તેથી તેઓને મનોમન લાગી આવતા તેઓએ ઉપરોકત પગલું ભરી લીધું હતું.
ગુમ પરત
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થોડા દિવસો પહેલા જાન્વીબેન ભરતભાઈ રાઠોડ નામની ૨૪ વર્ષની યુવતી કોઈને કંઇ કહ્યા વગર ગઈ તા.૩૧-૭ ના ગુમ થયેલ હતી અને ત્યારબાદ પોલીસે શોધખોળ કરતા હાલ આ યુવતીની ભાળ મળી ગયેલ હોય પોલીસ અને પરિવાર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો.