એક વખત વાવો અને 40 વર્ષ સુધી લણો: મોરબીના ફડસર ગામે ખેડૂતે રૂટિન ખેતીને ત્યજીને શરૂ કરી વાંસની ખેતી
SHARE
એક વખત વાવો અને 40 વર્ષ સુધી લણો: મોરબીના ફડસર ગામે ખેડૂતે રૂટિન ખેતીને ત્યજીને શરૂ કરી વાંસની ખેતી
મોરબી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કપાસ, મગફળી, ઘઉં વગેરે જેવા પાકની ખેતી કરતા હોય છે પરંતુ તેમાં જે વળતર મળે તેના કરતાં વધુ વળતર મળે તેના માટે ઘણા ખેડૂતો પોતાના ખેતરની અંદર નવતર પ્રયોગ કરતા હોય છે તેવી જ રીતે મોરબી તાલુકાના ફડસર ગામના ખેડૂતે પોતાના ખેતરમાં રૂટીન ખેતીને ત્યજીને વાંસની ખેતી શરૂ કરી છે અને તેમાં બમણી આવક થશે તેવી તેને હાલમાં આશા બંધાણી છે.
સામાન્ય રીતે ખેડૂતો સિંચાઈની કોઈ વ્યવસ્થા ન હોય તો માત્ર ચોમાસામાં એક જ ખેતીનો પાક લઈ શકતા હોય છે અને તેમાં પણ જો વરસાદ વધારે પડે અથવા તો ઓછો પડે તો ખેડૂતોને આખું વર્ષ નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે મોરબી જિલ્લામાં કેટલા ખેડૂતોએ સિંચાઈની કોઈ વ્યવસ્થા નથી ત્યાં નવતર પ્રયોગો કર્યા છે અને તેમાં સફળતા મળી હોય તેવું જોવા મળ્યું છે તેવા સમયે મોરબી તાલુકાના ફડસર ગામે 12 વીઘા જેટલી ખેતીની જમીન ધરાવતા મૂળ ખાનપર ગામના રહેવાસી ખંતીલભાઈ ભીમાણી દ્વારા 8 વીઘા જમીનમાં વાંસની ખેતી કરવામાં આવી છે અને હાલમાં તેઓના ખેતરની અંદર 20 ફૂટ કરતા ઊંચા વાંસના ઝાડ જોવા મળી રહ્યા છે અને તેમને વાંસની ખેતીમાં કરવા માટે વિઘે જે ખર્ચ કર્યો છે તેના કરતાં બમણી આવક આગામી સમયમાં થશે તેવું તેમને હાલમાં દેખાઈ રહ્યું છે
પ્રગતિશીલ ખેડૂત ખંતીલભાઈ ભીમાણીના કહેવા મુજબ તેઓએ એક રોપાના 55 રૂપિયાના લેખે 1200 જેટલા વાંસના રોપા લીધા હતા તે ઉપરાંત મલેશિયન લીમડાના પણ તેટલા જ છોડ લીધા હતા અને હાલમાં તેઓએ આઠ વીઘામાં વાંસનું વાવેતર કર્યું છે અને ચાર વીઘામાં મલેશિયન લીમડા તેમજ કેટલાક અન્ય ફળાઉ ઝાડનું પણ વાવેતર કર્યું હતું અને તેઓને વર્ષે વીઘે પાંચથી દસ હજાર જેટલો ખર્ચો અત્યારે લાગે છે જોકે ચોથા વર્ષથી વાંસની ખેતીમાં કટીંગ શરૂ કરવામાં આવતું હોય છે જેથી આગામી વર્ષથી એક વીઘે 35 થી 40 હજારની આવક તેઓને થશે અને આ વાંસની ખેતી માટે એક વખત વાવેતર કર્યા બાદ 40 વર્ષ સુધી તેમાં બીજા કોઈપણ પ્રકારના ખર્ચ વગર આવક મળતી રહે છે અને ન માત્ર આટલી જ આવક પરંતુ દર વર્ષે તે આવકમાં વધારો પણ થતો હોય છે
મોરબી સહિત ગુજરાતના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં દરિયાકાંઠાના કારણે ખારાશ વાળી જમીન હોય છે અને ત્યાં રૂટિન ખેતીનો પાક લઈ શકાતો નથી અને જો રૂટીન ખેતી કરવા માટે ખેડૂતો દ્વારા પ્રયત્ન અને ખર્ચા કરવામાં આવે તો તે પડ્યા ઉપર પાટુ સમાન સાબિત થાય છે ત્યારે જો કોઈપણ પ્રકારના ખાતર કે દવાનો ઉપયોગ કર્યા વગર આ રીતે ઓછા ખર્ચ અને ઓછી મહેનતે વાંસની ખેતી કરવામાં આવે તો લાંબા ગાળે રૂટીન ખેતી કરતા વાર્ષિક બમણી આવક જોવા મળે તેમાં શંકાને કોઈ સ્થાન નથી