મોરબીના નાનીવાવડી ગામે ઉછીના આપેલા રૂપિયા પાછા લેવા માટે યુવાનની બે શખ્સોએ કરી નિર્મમ હત્યા
મોરબી જીલ્લામાં રેવન્યુ વિજીલન્સના ધામા !, 602 જમીનના કૌભાંડમાં અધિકારીઓએ કરેલા હુકમોની તપાસ થાય તો તપેલા ચડી જાય ?
SHARE







મોરબીમાં આવેલ શિયાળની વાડી ખાતે રહેતા ભીમજીભાઈ બેચરભાઈ નકુમ દ્વારા થોડા સમય પહેલાં મોરબી એ ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે શાંતાબેન પરમાર અને સાગર ફુલતરીયા નામના બે વ્યક્તિઓ સામે જમીન કૌભાંડની ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તેમાં આરોપીઓ દ્વારા ખોટા મરણના દાખલા, ખોટો વારસાઈ આંબો વિગેરે જેવા દસ્તાવેજી પુરાવો ઊભા કરીને તેનો સાચા તરીકે ઉપયોગ કરીને ફરિયાદીની વડીલોપાર્જીત જમીનમાં વારસાઇ એન્ટ્રી કરાવવામાં આવી હતી ત્યાંથી આ જમીન કૌભાંડની શરૂઆત થઈ હતી અને જ્યાં સુધી જમીનના મૂળ માલિક દ્વારા જિલ્લા પોલીસ વડાને અરજી કરવામાં આવી ન હતી ત્યાં સુધી ક્યાંકને ક્યાંક જમીનના મૂળ માલિકને ન્યાય ન મળે તે પ્રકારની ભૂમિકા અધિકારીઓની રહી હોય તેવું તેઓએ જ કરેલા હુકમો ઉપરથી જોવા જાણવા મળી રહ્યું છે.
હાલમાં ફરિયાદી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે તેઓની વડીલોપાર્જિત વજેપર ગામ સર્વે નંબર 602 વાળી જમીનમાં 16/7/2024 ના રોજ નમૂના નંબર-6 માં વારસાઈ નોંધ નંબર 23871 પ્રમાણિત કરવામાં આવી હતી.જે અંગેની જાણ તેઓને થતાની સાથે જ તેમણે તાત્કાલિક તા 3/8/24 ના રોજ મામલતદારમાં વાંધા અરજી કરી હતી. ત્યારબાદ તા.5/8/24 ના રોજ મામલતદાર દ્વારા નાયબ કલેકટરને તે વાંધા અરજી મોકલી આપવામાં આવી હતી અને નાયબ કલેકટર સુશીલ પરમાર સમક્ષ જે વાંધા અરજી ચાલી ગઈ હત.તેમાં ત..27/9/2024 ના રોજ જમીનના મૂળ માલિકે લીધેલ વાંધો રદ કરવામાં આવ્યો હતો અને શાંતાબેન પરમારની જે વારસાઈ એન્ટ્રી હતી તેને સત્તાની ઉપરવટ જઈને નાયબ કલેક્ટર દ્વારા પ્રમાણિત કરી દેવામાં આવી હતી ! એટલે કે મામલતદાર દ્વારા જે વારસાઈ નોંધ કરવામાં આવી હતી તેને 2 મહિનાને 11 દિવસે નાયબ કલેકટર દ્વારા પ્રમાણિત કરી દેવામાં આવી હતી.
જોકે નાયબ મામલતદાર દ્વારા જે હુકમ કરવામાં આવ્યો હતો તેનાથી નારાજ થઈને જમીનના મૂળ માલિક ભીમજીભાઈ નકુમ દ્વારા તા.28/10/2024 ના રોજ નાયબ કલેકટરના હુકમ સામે મનાઈ હુકમ મેળવવા માટે થઈને કલેક્ટરમાં અરજી કરવામાં આવી હતી.જોકે જમીનના મૂળ માલિક દ્વારા કરવામાં આવેલ અપીલ અરજીમાં પહેલી મુદત તા.28/1/2025 ના રોજ આપવામાં આવી હતી અને ત્યારબાદ બીજા જ દિવસે એટલે કે તા.29/1/2025 ના રોજ કલેક્ટરે નાયબ કલેક્ટર દ્વારા પ્રમાણિત કરવામાં આવેલ નોંધ સામે સ્ટે આપવામાં આવ્યો હતો એટલે કે એક બે નહીં પરંતુ 97 દિવસ સુધી જમીનના મૂળ માલિકની સ્ટે મેળવવા માટે થઈને અપીલ અરજી હતી તેને ધ્યાને લેવામાં આવી ન હતી અને ત્યારબાદ 98 માં દિવસે તુરત જ કલેકટર દ્વારા નાયબ કલેકટરના હુકમને સ્ટે કરવા માટે તા.29/1/25 ના રોજ હુકમ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે નાયબ કલેકટર દ્વારા જે નોંધને પ્રમાણિત કરવામાં આવી હતી ત્યારથી લઈને તેને સ્ટે કરવામાં આવી ત્યાં સુધીનો જે સમયગાળો હતો તે દરમિયાન તા.8/1/25 ના રોજ જમીનના મૂળ માલિકે કલેક્ટરમાં કરેલી અપીલને અવગણીને બોગસ આધાર પુરાવા આધારે જે મહિલા જમીનમાં વારસદાર બની હતી તે શાંતાબેન પરમાર દ્વારા સાગર ફૂલતરીયાના નામનો જમીન વેચાણનો દસ્તાવેજ કરી આપવામાં આવ્યો હતો એટલે કે જમીન કૌભાંડ કરનારાઓને પૂરતો સમય મળે તેવી ભૂમિકા ક્યાંકને ક્યાંક અધિકારીની હોય તેવું પણ નકારી શકાય તેમ નથી.અત્રે ઉલ્લેખનીય છે કે ભોગ બનેલા વ્યક્તિ દ્વારા તા.14/1/25 ના રોજ આ જમીન કૌભાંડ અંગેની મોરબી જિલ્લા પોલીસ વડાને અરજી આપવામાં આવી હતી અને ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ થયા બાદ જિલ્લા કલેકટર દ્વારા નાયબ કલેકટરના હુકમને સ્ટે કરવા માટે તા.29/1/2025 ના રોજ હુકમ કરવામાં આવ્યો હતો ત્યાં સુધી જમીનના મૂળ માલિક પોતાની જ જમીન મેળવવા માટે થઈને હેરાન થઈ રહ્યા હતા. અને અંતે તા.15/3/25 ના રોજ કલેકટરે નાયબ કલેકટરે પ્રમાણીત કરેલ નોંધને રદ કરેલ છે.
આમ ન માત્ર મોરબી કે સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાતમાં ગુંજતું જમીન કૌભાંડ એટલે કે મોરબીનું 602 જમીન કૌભાંડ હાલ રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલ છે અને તેવામાં રેવન્યુ વીજીલન્સની ટીમ દ્વારા ગઈકાલે મોરબીમાં ધામા નાખવામાં આવ્યા હતા અને કલેક્ટર કચેરીમાં બંધ બારણે પૂછપરછ પણ કરવામાં આવી હોય તેવું પણ અધિકારી સૂત્રોમાં ચર્ચા રહ્યુ છે.વધુમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે જ્યારે રેવન્યુ વિભાગની વિજિલન્સ ટીમ મોરબી કલેકટર કચેરીએ પહોંચી હતી ત્યારે કલેકટર કચેરીમાં ફરજ બજાવતા અમુક અધિકારીઓના મોબાઇલ સ્વીચ ઓફ થઈ ગયા હતા ! અને કેટલાક ઓફિસમાં હાજર હતા ત્યાંથી જતા રહ્યા હતા ! આમ આ ચકચારી જમીન કૌભાંડ આગામી દિવસમાં કેટલાના તપેલા ચડાવે છે ?, તપાસના અંતે કોણ કોણ આરોપી થશે ? અને કોની સામે કેવા એક્શન લેવાય છે ? તેના ઉપર મોરબીના લોકોની હાલમાં નજર મંડાયેલ છે અને આ જમીન કૌભાંડની તપાસમાં આગામી સમયમાં ક્યાંકને ક્યાંક જીલ્લામાં થયેલ બોગસ ખેડૂત કાંડ નો પણ પર્દાફાશ થાય તેવા સંકેતો મળી રહ્યા છે.જોકે અધિકારીઓ દ્વારા ક્યાં સુધી જમીન કૌભાંડમાં સંડોવાયેલા શખ્સોને છાવરવા માટેના પ્રયાસો કરવામાં આવશે તે હાલમાં કહેવુ મુશકેલ છે.આને આ બાબતની ગૃહવિભાગે અને રાજયના મુખ્યમંત્રીએ નોંધ લઈને ખાતાકીય તપાસ કરાવવી જોઈએ. #morbitoday
From :Himanshu Bhatt (Press Reporter)
Sanj Samachar_MORBI
