મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા
SHARE
મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા
મોરબી નાગરિક સહકારી બેંકના 9 ડિરેક્ટરો માટે ચૂંટણી જાહેર થઈ હતી જે પૈકીના ત્રણ ડિરેક્ટરો બિનહરીફ વિજેતા જાહેર થઈ ગયા છે જો કે, 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન થયું હતું અને કુલ 6596 માંથી 2049 મત પડ્યા હોવાનું જાણવા મળેલ છે અને હવે મત ગણતરી શરૂ કરવામાં આવશે જેથી મોડી રાત સુધીમાં 6 ડિરેક્ટરોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
મોરબી નાગરિક બેંકના 9 ડિરેક્ટરોની મુદત પૂર્ણ થતી હોય 9 ડિરેક્ટરોની વરણી કરવા માટે થઈને ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને તેમાં 6 જનરલ, 2 મહિલા અનામત અને 1 એસીએસટી અનામત બેઠકનો સમાવેશ થાય છે તે પૈકી બે મહિલા અનામતની સીટમાં જ્યોતિબેન વિરાણી તથા હંસાબેન ઠાકર બિનહરીફ વિજેતા જાહેર થયા હતા જ્યારે એસસીએસટી અનામત બેઠક ઉપર વિજયભાઈ વાઘેલા ડિરેક્ટર તરીકે બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.
ત્યારબાદ જનરલ કેટેગરીમાં જે 6 ડિરેક્ટરોનો સમાવેશ થાય છે તેમાં જુદી જુદી બે પેનલમાંથી કુલ 12 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી કરી છે અને રવિવારે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ ખાતે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરોને ચૂંટવા માટે થઈને ચૂંટણીનું સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન ચાલ્યુ હતું અને બેંકના કુલ 6596 સભાસદ છે તે પૈકીના 2049 મતદારો દ્વારા મતદાન કરીને મત પેટીમાં તેના ભાવિને શીલ કરવામાં આવ્યું છે અને હવે એક પછી એક મત પેટી ખોલીને મત ગણતરી શરૂ કરવામાં આવી છે.
અત્રે ઉલેખનીય છે કે, બેંકની આ ચૂંટણીમાં જે 12 ઉમેદવારોએ ઉમેદવારી કરેલ છે તે તમામ ભાજપ સાથે જોડાયેલ છે તેમ છતાં પણ જીત માટે બંને પેનલ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. જો કે, એક મતદાર દ્વારા છ ઉમેદવારને મતદાન કરવામાં આવ્યું છે અને બેલેટ પેપરથી ચૂંટણી યોજાઈ હોય મત ગણતરીમાં વધુ સમય લાગશે જેથી કરીને રવિવારે મોડી રાત સુધીમાં ચૂંટણીની મતગણતરી પૂર્ણ કરીને વિજેતા ઉમેદવારોના નામને જાહેર કરી દેવામાં આવશે.