મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર, બોરિચા અને આહીર હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ
SHARE
મોરબીના મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે અને વિપક્ષ વગરની મહાપાલિકા ભાજપની બની છે ત્યારે આ મહાપાલિકાના પ્રથમ મેયર કોણ બનશે તેની લઈને ઠેરઠેર ચર્ચા ચાલી રહી છે સાથોસાથ ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને શાસક પક્ષના દંડક કોણ બનશે તેના ઉપર સહુ કોઇની નજર છે ત્યારે નવરચિત મહાપાલિકાના પ્રથમ મેયર રાજકીય અનુભવી વ્યક્તિ હશે કે પછી નવા નિશાળિયાને મેયર બનાવવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે જો કે, અંદરખાને હાલમાં લોબિંગ શરૂ થઈ ગયું છે.
રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી મહાપાલિકાના મેયર પદ માટેનું રોટેશન જાહેર કરવામાં આવ્યું હતું તેમાં પ્રથમ અઢી વર્ષ માટે ઓબીસી અને પછીના અઢી વર્ષ માટે મહિલા અનામત મેયર પદ માટે જાહેર કરવામાં આવી છે. ત્યારે જો વાત કરીએ મોરબી મહાપાલિકાની ચૂંટણીની તો તાજેતરમાં જે પરિણામ આવ્યું છે તેમાં વિપક્ષને મહાપાલિકામાં બેસવા જેવુ મતદારોએ રહેવા દીધું નથી એટ્લે કે 52 એ 52 બેઠક ઉપર હાલમાં ભાજપના ઉમેદવારો ચૂંટાયેલ છે. જેમાં ઓબીસીની કેટેગીરીમાં 3 મહિલા સહિત કુલ 13 વ્યક્તિ આવે છે જો કે, પ્રથમ અઢી વર્ષ પછી મેયર પદ માટે મહિલા અનામત છે જેથી કરીને પહેલા મેયર મહિલા બને તેવી હાલમાં કોઈ શક્યતા દેખાતી નથી.
જો કે, બાકીના નવ ચૂંટાયેલા આગેવાનોમાં ભુપેન્દ્રભાઇ લાખાભાઇ જારીયા, વિવેક રમેશભાઇ ગોલતર, ભગિરથ મનસુખભાઇ બરાસરા, ઉતમ મહેશભાઇ સુરાણી, હીરેનભાઇ પરબતભાઈ કરોતરા, ભાવેશભાઇ અરજણભાઇ કંઝારીયા અને ગણેશભાઇ નાનજીભાઇ ડાભી, બ્રિજેશ આપાભાઇ કુંભરવાડીયા, ભાવિકકુમાર ભરતભાઈ જારીયા વિગેરેનો સમાવેશ થાય છે અને આ ચૂંટાયેલા આગેવાનોમાંથી ઘણા પહેલી વખત સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ઉમેવદાર બન્યા હતા અને ચૂંટાયેલ છે જેથી તેઓને અધિકારી અને કર્મચારી પાસેથી કામ લેવાનો અનુભવ નથી, સરકાર પાસેથી વિકાસ માટેની ગ્રાન્ટ લેવી રીતે મેળવવી તેનો કોઈ અનુભવ નથી જેથી નવા નિશાળિયા જેવા આગેવાનને મેયર બનાવવામાં આવે તો ભાજપ શહેરનો ધર્યો વિકાસ કરી શકે નહીં જેથી આ પદ ઉપર અનુભવી આગેવાનને તક આપવામાં આવે તેવી શક્યતાઓને નકારી શકતી નથી જેમાં પાલિકામાં અગાઉ ચૂંટાયેલ હોય અને સ્થાનિક સ્વરાજની સંસ્થામાં કામ કરવાનો અનુભવ હોય તેવા આગેવાનમાં ભાવેશભાઇ અરજણભાઇ કંઝારીયા, બ્રિજેશ આપાભાઇ કુંભરવાડીયા અને ભાવિકકુમાર ભરતભાઈ જારીયાનો સમાવેશ થાય છે જો કે, ભાજપ દ્વારા કોના ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે.
ઉલેખનીય છે કે, જો મેયર આહીર કે બોરિચા સમજમાંથી આવશે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતવારા સમાજમાંથી આવશે અને જો કે, મેયર સતવારા સમજમાંથી આવશે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આહીર કે બોરિચા સમજમાંથી આવશે તે નિશ્ચિત છે અને મહાપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાટીદાર સમજમાંથી આવશે તે લગભગ નિશ્ચિત છે. જો કે, શાસક પક્ષના નેતા ક્ષત્રિય સમાજ અને શાસક પક્ષના દંડકમાં બ્રહ્મણ કે સોની સમાજને સ્થાન મળી શકે છે. જો કે, પક્ષ દ્વારા કોને કયું પદ આપવામાં આવશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે પરંતુ મહાપાલિકાની પ્રથમ બોડીમાં મોભાદાર પદ મેળવવા માટે અંદરખાને કયાંક ને ક્યાંક લોબિંગ શરૂ થઈ ગયું છે.