મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
SHARE
મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
મોરબીમાં હોટલના ધંધાથીએ રૂપિયાની જરૂર પડતા અલગ અલગ વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને જેટલા રૂપિયા લીધા હતા તેના કરતા અનેક ગણું વધારે વ્યાજ અને રૂપિયા ચૂકવી આપેલ હતા. રૂપિયા પાછા આપી દીધા હતા તેમ છતાં પણ તેની પાસેથી મૂડી અને વ્યાજના રૂપિયા ની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને ઘરભેદ ધમકીઓ દેવામાં આવતી હતી તેમજ તેઓની પાસેથી મોબાઇલ ફોન મકાનનો ઓરીજનલ દસ્તાવેજ પોરા ચેક નોટરી લખાણ વિગેરે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા મેળવી લેવામાં આવ્યું હતું અને વ્યાજ તથા મૂડીના રૂપિયા માટે થઈને અવારનવાર હોટલના ધંધા સિવાય ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને તેણે આપઘાત કરી દીધો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ મોરબી એડમિશન પોલીસ સ્ટેશન ખાતે 7 શક્ષોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના આલાપ રોડ ઉપર આવેલ રામદેવપીરના મંદિર વાળી શેરીમાં તિરૂપતિ સોસાયટી ખાતે રહેતા નીરવભાઈ અશ્વિનભાઈ બોપલિયા (34) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇમરાન ગુલામભાઈ માડકિયા રહે. મોરબી, અજય ભટ્ટ રહે. વાઘપરા મોરબી, ગીરીરાજસિંહ ગોહિલ રહે. રાજકોટ, ભરત રબારી રહે, થોરાળા, અજીતભાઈ જેસંગભાઈ રાઠોડ રહે.ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી, વિપુલ જેસંગભાઈ રાઠોડ રહે. નવલખી રોડ મોરબી તથા કિશનભાઇ રબારી રહે. મકનસર તા.મોરબી સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં તેને જણાવ્યું છે કે તેના પિતા અશ્વિનભાઈ હરખજીભાઈ બોપલિયા (50) એ ઇમરાન માડકીયા પાસેથી 12.50 લાખ રૂપિયા 4 ટકાના વ્યાજ લેખે લીધા હતા.જેની સામે આરોપીને 50 લાખ જેટલું વ્યાજ ચૂકવેલ છે અને મકાનનો સોદાખત કરી ઓરીજનલ દસ્તાવેજ તેણે લઈ લીધેલ છે. આરોપી અજય ભટ્ટ અને ગિરિરાજસિંહ ગોહિલ પાસેથી 22 લાખ રૂપિયા 5 ટકાના વ્યાજે લીધેલા હતા.જેની સામે 18 લાખ રૂપિયા ચૂકવી આપેલ છે અને આઠ કોરા ચેક ફરિયાદીના પિતા પાસેથી આરોપીઓએ મેળવી લીધા હતા.
જયારે આરોપી ભરત રબારી પાસેથી 1 લાખ રૂપિયા 20 ટકાના વ્યાજ લેખે લીધા હતા.જેની સામે 5 લાખ રૂપિયા ચૂકવી આપેલ છે અને અજીતભાઈ રાઠોડ તથા વિપુલ રાઠોડ પાસેથી 1.50 લાખ રૂપિયા 30 ટકાના વ્યાજે લીધા હતા.જેની સામે 1.40 લાખ રૂપિયા ચૂકવી આપેલ છે છતાં અજિત રાઠોડે ફરિયાદીના પિતાનો સેમસંગ કંપનીનો એસ-24 અલ્ટ્રા ફોન લઈ લીધો હતો અને બંને આરોપીઓએ ત્રણ કોરા ચેક મેળવી લીધા હતા જ્યારે કિશન રબારીએ 50,000 રૂપિયા રોજના 800 રૂપિયાના વ્યાજ લેખે આપ્યા હતા જેની સામે 10 લાખનું નોટરી લખાણ અને બે કોરા ચેક મેળવી લીધા હતા.આમ આરોપીઓ દ્વારા ફરિયાદી પાસેથી વ્યાજ અને મુળીની રકમની ઉઘરાણી કરવામાં આવતી હતી અને વ્યાજ ન ચૂકવતા ફોન ઉપર ગર્ભિત ધમકીઓ આપવામાં આવતી હતી જેથી સાતેય આરોપીઓ ફરિયાદી અને તેના પિતા પાસેથી પૈસાની ઉઘરાણી કરતા હતા અને ફરિયાદીના પિતાને માનસિક ત્રાસ આપતા હતા.
જેથી ફરિયાદીના પિતા અશ્વિનભાઈ હરખજીભાઈ બોપલિયા (50) એ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.જે બનાવ સંદર્ભે મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદી આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં તપાસ અધિકારી પીએસઆઇ જે.વી.ઝાલા એ કિશનભાઇ મનુભાઈ રાઠોડ રબારી (21) રહે. સીતારામ સોસાયટી શેરી નં-1 ગોકુલનગર મકનસર મોરબી, લાલજીભાઈ ઉર્ફે ભરતભાઈ અણંદાભાઇ રાઠોડ રબારી (34) રહે. થોરાળા તા.મોરબી અને ગિરિરાજસિંહ પ્રદ્યુમનસિંહ ગોહિલ દરબાર (31) રહે.વિમલનગર પુષ્કરધામ પાછળ યુનિવર્સિટી રોડ રાજકોટ ની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.