ખાનગી કંપનીના વીજ પોલના વળતર મામલે ઉગ્ર બનતા ખેડૂતો: મોરબીના જેતપર ગામે હવે બિન રાજકીય આમરણાંત ઉપવાસ આંદોલનના માંડણ
SHARE
મોરબીના જેતપર ગામે છેલ્લા એકાદ સપ્તાહથી ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપનીના વીજપોલના વળતર બાબતે આંદોલન કરવામાં આવી રહ્યું છે અને ગાંધીનગર સુધીની ટ્રેક્ટર રેલી યોજાયા પછી પણ તે લોકોનો પ્રશ્ન ઉકેલાયો નથી જેથી હવે ખેડૂતો દ્વારા ગામમાં મીટીંગ કરીને મંજૂરી સાથે ખાનગી કંપનીઓ પાસેથી પૂરતા અને સમયસર વળતર માટે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને વળતર બાબતનો પ્રશ્ન નહીં ઉકેલાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે
મોરબી જિલ્લામાં જુદી જુદી ખાનગી વીજ કંપનીની વીજ લાઈનો પસાર થઈ રહી છે અને તેના માટે થઈને વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે અને કેટલીક જગ્યાએ વીજ વાયર પણ વીજ પોલ ઉપર ફીટ કરી દેવામાં આવ્યો છે પરંતુ અફસોસની વાત એ છે કે જે ખેડૂતોના ખેતરની અંદર વીજપોલ નાખવાનું કામ પૂર્ણ થઈ ગયું છે અથવા તો જે ખેડૂતોના ખેતરની અંદર વીજ પોલ ઊભા કરવા માટેની કામગીરી ચાલી રહી છે આ ખેડૂતોને ખાનગી વીજ કંપનીઓ દ્વારા હજુ સુધી એક પણ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું નથી અને વળતર કેટલું મળશે તે બાબતની કોઈ સ્પષ્ટતા પણ કરવામાં આવી નથી.
દરમ્યાન છેલ્લા આઠ દિવસથી મોરબી તાલુકાના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની સામે વળતરની માંગ સાથે પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે અને આ ગામના 30 જેટલા ખેડૂતોના ખેતરમાં જુદી જુદી બે વીજ લાઈનના વીજ પોલ ઉભા કરવાના છે તેમજ વીજ તાર નીકળતા હોય તેવા અસરગ્રસ્ત ખેડૂતોની સંખ્યાનો સમાવેશ કરવામાં આવે તો 300 જેટલા અસરગ્રસ્ત ખેડૂતો છે. જેઓને વળતર બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી અને વળતર હજુ સુધી આપવામાં આવ્યું નથી જેથી ખેડૂતોમાં રોષ ની લાગણી જોવા મળી રહી છે અને જેતપરથી ગાંધીનગર સુધીની ટ્રેક્ટર રેલી તાજેતરમાં યોજાઈ હતી તેમાં પણ મોટી સંખ્યામાં જેતપર ગામના ખેડૂતો જોડાયા હતા.
જોકે, રેલી ગાંધીનગર સુધી પહોંચી ન હતી અને ખેડૂતોને ન્યાય મળ્યો નથી જેથી ખેડૂતોએ હવે આંદોલન પાર્ટ ટુ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે અને આજે સાંજે 5:00 વાગ્યે ગામમાં અસરગ્રસ્ત ખેડૂતો તથા ગામના આગેવાનોની હાજરીમાં ઉપવાસી છાવણી ખાતે મિટિંગ મળી હતી જેમાં સંયુક્ત રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે આવતીકાલે કલેક્ટર પાસેથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે અને આ બિન રાજકીય આંદોલનથી રાજકીય પક્ષના આગેવાનો અને નેતાઓને દૂર રહેવા માટે અપીલ કરી છે.