મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી
મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ
SHARE
મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ
મોરબી વીસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં પ્રેમ લગ્ન કરવામાં આવ્યા હોવાની બાબતની નારાજગીને લઈને બે પક્ષો વચ્ચે સામ-સામે મારામારીનો બનાવ બન્યો હતો.અને બાદમાં આ બાબતે બંને પક્ષો તરફથી ફરિયાદો નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા ગુના દાખલ કરીને આ બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ મહેશભાઈ સારેસા નામના ૨૧ વર્ષના યુવાને ગૌતમ ત્રિભુવનભાઇ કાટીયા, મહેન્દ્ર વિરજીભાઈ કાટીયા, દેદા લાલાભાઇ કાટીયા અને કેતન નારણભાઈ કાટીયા રહે.તમામ રોહિદાસપરા વીસીપરા મોરબી વાળાઓ સામે ફરિયાદ નોંધાવી હતી અને તેમાં જણાવ્યું હતું કે, ફરિયાદી ભાવેશભાઈના ફુઈ (ફૈબા) દ્વારા પ્રેમ લગ્ન કરવામાં આવેલા હોય અને ફરિયાદીના ઘરે તેઓ આવતા જતા હોય જે વાત સામે વાળાઓને સારી ન લાગતા ફરિયાદી તેમજ સાહેદ રમેશભાઈ સારેસા અને મંજુલાબેન સારેસા જ્યારે ઘરે હતા ત્યારે ત્રણેય ઉપર સામેવાળા ચાર લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં લોખંડના પાઇપ, બેટ, ધોકા તેમજ ઢીકાપાટુ વડે તેઓને માર મારવામાં આવ્યો હતો.તે મુજબની ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ પોલીસે ગુનો નોંધ્યો છે.
જયારે સામેના પક્ષેથી ત્રિભુવનભાઈ લાલજીભાઈ કાટીયા (ઉમર ૫૮) રહે.રોહીદાસપરા વાળાએ બી ડિવિઝન પોલીસ મથક ખાતે રમેશભાઈ અંબાલાલ સારેસા અને ભાવેશ મહેશભાઈ સારેસા રહે.બંને રોહીદાસપરા વીસીપરા વાળાઓ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ફરિયાદી ત્રિભુવનભાઈના મોટાભાઈની દીકરીએ પ્રેમ લગ્ન કરેલા હોય તેના પતિ સાથે ગૌતમ, મહેન્દ્ર, દેદાભાઈ અને કેતનભાઇ સાથે મળીને સામેવાળાઓને સમજાવવા માટે ગયા હતા.જ્યાં સામેવાળાઓએ ઝઘડો કરી ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.આમ બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના એમ.પી.ચાવડા દ્વારા આ બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
વીસીપરામાં મારામારી
મોરબીના વીસીપરામાં આવેલ રણછોડનગર વિસ્તારમાં શાંતિવન સ્કૂલ પાસે પતિના ઘરે ગયેલા ફાતિમાબેન તાજમામદ મોવર (૪૭) અને બિલાલ તાજમામદ મોવર (૧૭) રહે. બંને જામનગર વાળાઓને મારામારીના બનાવમાં ઈજાઓ થયેલી હોય બંને માતા-પુત્રને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના બી.કે.દેથા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે ભડિયાદ પાસે આવેલ સુભાષનગરમાં રહેતા ધનજીભાઈ જેઠાભાઈ જાદવ નામના ૩૩ વર્ષના યુવાને જાતે ઘરે ધારદાર વસ્તુ વડે ગળાના ભાગે ઇજા કરતા ઇજા પામેલ હોય ધનજીભાઇને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.અને બનાવની જાણ થતા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા આ બાબતે આગળની તપાસ કરવામાં આવી રહી છે.તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે