નેપાળમાં અચાનક આવેલા પૂરના પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન જાહેર
મોરબીમાં આસ્થા અને ઉમંગ સાથે ઈદે-મિલાદની ઉજવણી કરાઇ: ઝુલૂસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
SHARE
મોરબીમાં આસ્થા અને ઉમંગ સાથે ઈદે-મિલાદની ઉજવણી કરાઇ: ઝુલૂસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
ઈસ્લામ ધર્મના અંતિમ પયગંબર હઝરત મહંમદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પવિત્ર જન્મદિવસની યાદમાં ઉજવાતા ઈદે-મિલાદુન્નબીના પાવન પર્વની બુધવારે મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોરબીના વિવિધ વિસ્તારોમાંથી ઝુલૂસ નીકળ્યા હતા.
ઈદે-મિલાદના પર્વને લઈને મંગળવારની રાત્રે મોટી રાત નિમિત્તે વિવિધ મસ્જિદો તથા મુસ્લિમ વિસ્તારોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ઈસ્લામિક કેલેન્ડરના રબી-ઉલ-અવ્વલ માસની ૧૨મી તારીખે ઉજવાતા આ પવિત્ર પર્વ નિમિત્તે મસ્જિદોમાં મિલાદ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું. સલામી બાદ પયગંબર હઝરત મહંમદ સાહેબના પવિત્ર જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ન્યાઝનું આયોજન કરી ઉપસ્થિત શ્રદ્ધાળુઓમાં પ્રસાદરૂપે તકસીમ કરવામાં આવ્યો હતો. તેમજ પયગંબર સાહેબના બાલ મુબારકના દીદાર કરાવવામાં આવ્યા હતા.
મોરબી શહેરમાં બપોરના સમયે જુમ્મા મસ્જિદ ખાતેથી ઈદે-મિલાદ નિમિત્તે ભવ્ય ઝુલૂસ નીકળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. અને ઈદે-મિલાદના પવિત્ર પર્વની ખુશીમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા એકબીજાને મીઠાઈ વહેંચી મુબારકબાદી પાઠવવામાં આવી હતી. મોરબી શહેરના મકરાણીવાસ, કુલીનગર, જોન્સનગર, કાલિકા પ્લોટ, સિપાઈવાસ સહિતના વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં છેલ્લા ૧૨ દિવસથી ધાર્મિક કાર્યક્રમોની શ્રેણી ચાલી રહી હતી. આ દરમિયાન આલિમો દ્વારા વાઈઝ અને ધાર્મિક બયાનો કરવામાં આવ્યા હતા. ઈદે-મિલાદના દિવસે આ ધાર્મિક કાર્યક્રમોની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.