મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કર્યો આપઘાત: મૃતકની પત્નીએ બે શખ્સોની સામે કરી ફરિયાદ
SHARE
મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કર્યો આપઘાત: મૃતકની પત્નીએ બે શખ્સોની સામે કરી ફરિયાદ
મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા યુવાનનો ધંધો બરાબર ચાલતો ન હતો જેથી કરીને તેણે વ્યાજે રૂપિયા લીધેલા હતા અને વ્યાજે રૂપિયા આપનાર શખ્સોને વ્યાજ ચૂકવી દીધું હતું તેમ છતાં પણ યુવાન પાસેથી તેની કાર લઈ લેવામાં આવી હતી અને કાર પાછી માંગવામાં આવી ત્યારે યુવાને વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી તેમજ વારંવાર ફોન કરીને યુવાનને હેરાન કરવામાં આવતો હતો જેથી યુવાને વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાઈને પોતાના જ ઘરની અંદર આપઘાત કર્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનની પત્નીએ બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટી માં રહેતા ઈલાબા અમૃતસિંહ જાડેજા (28)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મયુરભાઈ ડોડીયા રહે. ચરાડવા તથા યુવરાજભાઈ ઉર્ફે લાલાભાઇ રહે. કોંઢ વાળાની સામે પતિને મરવા માટે મજબૂર કર્યા હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના પતિ અમૃતસિંહ દાનુભા જાડેજાનો ધંધો બરાબર ચાલતો ન હતો જેથી મયુરભાઈ ડોડીયાના કહેવાથી યુવરાજભાઈ પાસેથી ફરિયાદીના પતિએ વ્યાજે રૂપિયા લીધેલા હતા અને ફરિયાદીના પતિએ વ્યાજે લીધેલા રૂપિયાનું વ્યાજ ચૂકવી આપ્યું હતું તેમ છતાં પણ આરોપીઓએ ફરિયાદીના પતિ ની કાર નંબર જીજે 36 એઆર 8000 તેઓની પાસેથી લઈને પોતાની પાસે રાખી લીધી હતી અને તે કાર પરત માંગતા આરોપીઓએ વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હતી અને અવારનવાર ફોન કરીને ફરિયાદીના પતિને હેરાન પરેશન કર્યા હતા જેથી કરીને ફરિયાદીના પતિ દ્વારા તેઓના ત્રાસથી કંટાળીને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેવામાં આવ્યો હતો જેથી યુવાનને મરવા માટે થઈને મજબૂર કરનારા બે વ્યાજખોરોની સામે મૃતક યુવાનના પત્નીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.