ભાજપમાં વાવાઝોડા: મોરબીમાં કેબિનેટ મંત્રીની હાજરીમાં ધારાસભ્ય-સાંસદ વચ્ચે તું તું મે મે બાદ બેફામ વાણીવિલાસ
SHARE
ભાજપમાં વાવાઝોડુ: મોરબીમાં કેબિનેટ મંત્રીની હાજરીમાં ધારાસભ્ય-સાંસદ વચ્ચે તુંતું મેમે બાદ બેફામ વાણીવિલાસ
મોરબીમાં વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા કેબિનેટ મંત્રીને મોરબીમાં ખાસ મુકવામાં આવ્યા હતા અને તેની હાજરીમાં યોજાયેલ એક જમણવારના કાર્યક્રમ બાદ ધારાસભ્ય અને સાંસદ સભ્ય વચ્ચે તુંતું મેમે શરૂ થઈ હતી અને ત્યાર બાદ બેફામ વાણીવિલાસ થયો હતો જોકે, ત્યારે ત્યાં હાજર રહેલા પક્ષના અન્ય હોદ્દેદારો સહિતના લોકો દ્વારા સાંસદ અને ધારાસભ્યને છૂટા પાડવામાં આવ્યા હતા તેવી માહિતી સામે આવી રહી છે જો કે, આ મામલે ભાજપના કોઈ આગેવના મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી
બીપરજોય વાવાઝોડાની સંભવિત અસરોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં મંત્રીને ખાસ જવાબદારી સાથે મુકવામાં આવ્યા હતા ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈને મુકવામાં આવ્યા હતા અને તેઓની હાજરીમાં વાવાઝોડાને લઈને જે કામગીરી ચાલતી હતી તેનું નિરીક્ષણ અને સમીક્ષાઓ કરવામાં આવતી હતી જોકે છેલ્લા ઘણા સમયથી મોરબી જિલ્લાની અંદર ભાજપમાં જે વાવાઝોડા અને તોફાન ઉઠી રહ્યા છે તેને શાંત કરવા માટેના કોઈ પ્રયાસો ન થતા હોય તેવો ઘાટ ક્યાંકને ક્યાંક મંત્રીની હાજરીમાં સર્જાયો હતો
સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની હાજરીમાં મોરબી વિસ્તારમાં જમણવારનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તે જગ્યાએ સાંસદ તેમજ મોરબી જિલ્લાના ધારાસભ્યો બેઠા હતા દરમ્યાન જિલ્લાના અધિકારીઓ તેમજ અન્ય ભાજપના હોદેદારો ત્યાં હાજર હતા અને તેઓ જમતા હતા ત્યારે જે જગ્યાએ કેબિનેટ મંત્રી, મોરબીના મોટાભાગના ધારાસભ્યો તથા સાંસદ બેઠા હતા ત્યાં તું તું મે મે શરૂ થઈ ગઈ હતી અને થોડીવારમાં બેફામ વાણીવિલાસ શરૂ થયો હતો ત્યારે તાત્કાલિક ભાજપના હોદેદારો ત્યાં દોડી આવ્યા હતા અને તુંતું મેમે કરી રહેલા ભાજપના ધારાસભ્ય અને સાંસદને છૂટા પાડ્યા હતા
વધુમાં મળતી માહિતી મુજબ મોરબી નગરપાલિકાનો છેલ્લા બે વર્ષમાં જે વહીવટ કથડી ગયેલ છે તે બાબતે અને રવાપર ગ્રામ્ય વિસ્તારની આસપાસમાં જે બાંધકામો આડેધડ થઈ રહ્યા છે તે બાબતને લઈને ધારાસભ્ય અને સાંસદ વચ્ચે તુંતું મેંમે શરૂ થઈ હતી અને ત્યાર બાદ બેફામ વાણીવિલાસ સુધી આ વાત પહોંચી ગઈ હતી અને દેકારો તથા અધિકારીએ દોડી આવીને ત્યાં હાજર રહેલા મોરબી જિલ્લાના ભાજપના આગેવાનોને ધારાસભ્ય તથા સાંસદને છૂટા પાડવા માટે કહ્યું હતું ત્યારબાદ આ મામલો થાળે પડ્યો હતો પરંતુ આગામી દિવસોમાં આના ગંભીર પરિણામો મોરબી જિલ્લામાં સામે આવે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી
બિન આઘારભૂત સૂત્ર પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે જે જગ્યા ઉપર આ જમણવારનો પ્રસંગ હતો અને જે જગ્યાએ ધારાસભ્ય અને સાંસદ વચ્ચે બેફામ વાણીવિલાસ થયો હતો ત્યાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના ભાજપના અન્ય હોદેદારો અને આગેવાનો તેમજ જિલ્લાના ટોપ અધિકારીઓ હાજર હતા અને કેબિનેટ મંત્રીની હાજરીમાં જ તુતુ મેમે તેમજ બેફામ વાણીવિલાસ થયો હતો જોકે કેબિનેટ મંત્રીએ જે રીતે વાવાઝોડાનું તલસ્પર્શી રિપોર્ટિંગ રાજ્ય સરકારમાં કર્યું હતું તેવી જ રીતે મોરબીની અંદર ભાજપમાં જે વાવાઝોડું ધમધમી રહ્યું છે તેનું રિપોર્ટિંગ કર્યું છે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે ? અને કેબિનેટ મંત્રીની હાજરીમાં થયેલ બઘડાટી મામલે હાલમાં કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી