માળીયા (મી) નજીક અંજારથી જામનગર જતી એસટી બસમાં ટ્રક ટેલર અથડાતાં અકસ્માત: ગુનો નોંધાયો
SHARE
માળીયા (મી) નજીક અંજારથી જામનગર જતી એસટી બસમાં ટ્રક ટેલર અથડાતાં અકસ્માત: ગુનો નોંધાયો
માળીયા અને સુરજબારી પુલ વચ્ચે ચાર વાહનોનો અકસ્માત થયો હતો ત્યારે અંજારથી જામનગર તરફ જતી એસટી બસની પાછળના ભાગમાં ટ્રક ટેલર અથડાયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં એસટી બસમાં નુકસાની થયેલ હોવાથી બસના ડ્રાઇવર દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ પંચમહાલ જિલ્લાના રહેવાસી અને હાલમાં ભુજ જિલ્લાના અંજાર તાલુકામાં આદિપુર ગોલ્ડન સીટી ન્યુ કોમ્પ્લેક્સ મકાન નંબર ૨૦૬ ખાતે રહેતા મનુભાઈ રામાભાઈ ચારણ જાતે ગઢવી (૪૩)એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટેલર નંબર જીજે ૧૨ એટી ૬૦૪૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, અંજાર તરફથી જામનગર જતી એસટી બસ નંબર જીજે ૧૮ એક્સ ૯૧૬૧ લઈને તેઓ સુરજબારી પૂલથી માળીયા તરફ આવી રહ્યા હતા દરમિયાન પાછળના ભાગમાં આવી રહેલ ડમ્પરના ચાલકે મારુતિને હડફેટે લીધી હતી ત્યારબાદ આગળ જઈ રહેલા ટ્રક ટેલરમાં ડમ્પર અથડાયુ હતું જેથી ટ્રક ટેલર બસની પાછળના ભાગમાં અથડાતા ચાર વાહનો વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ટ્રક ટ્રેલર એસટી બસની પાછળ અથડાતા એસટી બસની ડેકી અને બમ્પરમાં નુકસાની થઈ હતી જેથી વાહનમાં નુકસાની અંગેની હાલમાં એસટી બસના ડ્રાઈવરે ટ્રક ટેલરના ચાલક સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે, એસટી બસમાં અંદાજે ૨૫ કરતાં વધુ મુસાફરો બેઠેલા હતા અને જો ટ્રક ટેલર અથડાવવાના કારણે બસ રોડ સાઈડમાં ઉતરી જાય અથવા તો પલટી મારી ગઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તેવી માહિતી મળેલ છે
અકસ્માતમાં ઇજા
હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતો સુમિત પ્રવીણભાઈ બાબરીયા (૧૭) અને મહેશ દિલીપભાઈ બાબરીયા (૧૪) નામના બે સગીર બાઈકમાં જતા હતા ત્યારે સુસવાવ ગામના પાટીયા પાસે રીક્ષા સાથે બાઈક અથડાતા અકસ્માતનો બનાવ બનેલ હતો અને અકસ્માતના બનાવમાં બંનેને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજા પામેલા બંને સગીરને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફુલતરીયા દ્વારા કરવામાં આવેલ છે