માળિયા (મી) નજીક ડમ્પર પાછળ ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત: ગુનો નોંધાયો
SHARE









માળિયા (મી) નજીક ડમ્પર પાછળ ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત: ગુનો નોંધાયો
માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ હરીપર ગામની ગોળાઈ પાસે દેવ સોલ્ટ પહેલા ટ્રક ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવીને આગળ જતા ડમ્પરમાં તેનું વાહન અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ટ્રક ચાલક યુવાનને પેટ અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતુ જે બનાવમાં હાલમાં મૃતક યુવાનની સામે ગુનો નોંધી પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ પાટણ જિલ્લાના રહેવાસી અને હાલમાં કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવતા આદિપુર ગામે રહેતા શૈલેષભાઈ અમૃતલાલ કબોયા જાતે પ્રજાપતિ (૩૮)એ મૃતક યુવાન બિચારભાઈ દિનેશભાઈ રાય (૨૦) રહે. બિહાર વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ હરીપર ગામથી આગળના ભાગમાં દેવસોલ્ટ નજીક રસ્તા ઉપરથી મૃતક તેના હવાલા વાળો ટ્રક નંબર જીજે ૧૨ એટી ૭૩૩૭ લઈને જઈ રહ્યો હતો ત્યારે આગળ જઈ રહેલા ડમ્પરમાં ધડાકા ભેર પોતાનું વાહન અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં મૃતક યુવાનને પેટ અને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે શૈલેષભાઈ કબોયાએ નોંધાવેલ ફરિયાદ આધારે માળિયા તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
હાર્ટ એટેકથી મોત
વાંકાનેર શહેરમાં ગાયત્રી મંદિર રોડ ઉપર આરોગ્યનગરમાં રહેતા લાલજીભાઈ વશરામભાઈ મણસૂરિયા (૫૭) નામના આધેડને તેઓ ઘરે હતા ત્યારે હાર્ટ અટેક આવી જતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

