મોરબી ખાણ ખનીજ વિભાગ અને પોલીસની કાર્યવાહી, અનઅધિકૃત પણે ખનીજ પરિવહન કરતા ચાર વાહનો પકડાયા
મોરબીના બેલા ગામ પાસેનો બનાવ : વહેલી સવારે લોડર ચાલકે મહિલાને હડફેટે લેતા મહિલાનું મોત
SHARE









મોરબીના બેલા ગામ પાસેનો બનાવ : વહેલી સવારે લોડર ચાલકે મહિલાને હડફેટે લેતા મહિલાનું મોત
મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલા ખોખરા હનુમાન રોડ ઉપર સીરામીક યુનિટમાં વહેલી સવારે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં બાથરૂમ જવા માટે ગયેલ મહિલાને યુનીટમાં કોલસા ઉપાડવાનું કામ કરતાં લોડરના ચાલકે ગફલત ભરી રીતે લોડરને રિવર્સમાં લઈને હડફેટે લીધા હતા.જે અકસ્માત બનાવમાં છાતીના ભાગે ગંભીર ઇજાઓ થવાથી પરપ્રાંતિય મજુર મજૂર મહિલાનું મોત નિપજયુ હોવાનું હાલ સામે આવેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તે આવેલ લીડસન વિટ્રીફાઈડ નામના યુનિટની અંદર નાઈટ શિફ્ટમાં સાફ-સફાઈનું કામકાજ કરતી મજુર મહિલા રામવતીબેન રામગોપાલભાઈ (ઉંમર ૩૨) મૂળ રહે.મધ્યપ્રદેશ વાળાઓને વહેલી સવારના પાંચેક વાગ્યાના અરસામાં યુનિટની અંદર કોલસા ઉપાડવાનું કામકાજ કરતા લોડરના ડ્રાઈવરે હડફેટે લીધા હતા.લોડરના ડ્રાઇવરે આગળ પાછળનું ધ્યાન રાખ્યા વિના પૂર ઝડપે લોડર રિવર્સમાં લીધું હતું જેને લઈને બાથરૂમ જવા માટે ગયેલા રામવતીબેન લોડરની હડફેટે ચડી જતા અને છાતીના ભાગે જીવલેણ ઇજાઓ થવાથી રામવતીબેનનું મોત નીપજ્યું હતું.જેથી તેઓના ડેડબોડીને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવેલ હોય હોસ્પિટલ ખાતેથી તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.જેથી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ બાબતે નોંધ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે, મૃતક રામવતીબેનના પતિનું અગાઉ મોત નીપજ્યું હતું અને બાદમાં છેલ્લા છએક વર્ષથી તેણીએ રામગોપાલભાઈ નામના વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કરેલા છે અને તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી અહીં તેની સાથે રહીને મજૂરી કામ કરતા હતા.મૂળ મધ્યપ્રદેશના વતની મૃતક રામવતીબેનના આગલા ઘરના બે સંતાનો તેઓના વતનમાં હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.હાલ નાઈટ શિફ્ટમાં કામ દરમિયાન બાથરૂમ ગયા બાદ કોલસાના વિભાગમાં ચાલતા લોડરના ચાલકનું વહેલી સવારે અંધારામાં ધ્યાન ન રહેતા અને આગળ પાછળનું ધ્યાન રાખ્યા વગર પૂર ઝડપે લોડર રિવર્સમાં લેતા આ અકસ્માત બનાવ બન્યો હોવાનું હાલ પોલીસ સૂત્રએ જણાવેલ છે અને આ બાબતે ફરિયાદ લેવા માટે પોલીસ દ્વારા આગળની તજવીજ શરૂ કરાયેલ છે.
વાહન અકસ્માતમાં ત્રણને ઇજા
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાના મંદિર પાસે અકસ્માતે પડી જતા ઇજાગ્રસ્ત થયેલા મંજુલાબેન દલપતભાઈ જાદવ નામના ૫૯ વર્ષીય વૃદ્ધાને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતેથી પોલીસમાં આ બાબતે જાણ કરવામાં આવતા હાલ પોલીસ દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ કરવી શરૂ કરવામાં આવી હોવાનું સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોએ જણાવેલ છે.જ્યારે બીજો બનાવ મોરબીના વાવડી રોડ ઉપર રહેતા ફારૂકભાઈ યુનુસભાઈ અજમેરી નામના ૩૮ વર્ષના યુવાનને મોરબીના શક્તિ ચોકના ખૂણા પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં ઇજાઓ થવાથી ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જે અંગે ત્યાંથી યાદી આવતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી અને અકસ્માતના ત્રીજા બનાવમાં મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા હિતેશભાઈ રામજીભાઈ ઝીંઝુવાડીયા નામના ૨૦ વર્ષના યુવાનનું બાઈક મોરબીના વીસી ફાટક નજીક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજા પામેલ હાલતમાં હિતેશ ઝીંઝુવાડીયાને પણ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો.જેથી પોલીસમાં જાણ કરાતા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.
યુવાન સારવારમાં
મોરબીના જેતપર ગામે રહેતા હીરાભાઈ રામજીભાઈ ભીલ નામનો ૩૫ વર્ષનો યુવાન કોઈ કારણોસર પાડા પુલ ઉપરથી નીચે પડી ગયો હતો જેથી ૧૦૮ વડે તેને જે તે સમયે અત્રેની સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો હતો.રાજકોટ ખાતેથી ઉપરોક્ત બનાવની યાદી આવતાં બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.ડાંગર દ્વારા આ બાબતે આગળની તપાસ કરવામાં આવી હતી.યુવાન અકસ્માતે નીચે પડી ગયો હતો..? કે અન્ય કોઈ બાબત છે તે હાલ તપાસનો વિષય છે.

