હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે
SHARE
હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે
હળવદ તાલુકા મામલતદાર કચેરી ખાતે મંગળવારે 22 જેટલા ગામના ખેડૂતો જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા અને અને પહેલા ઉપવાસ કરી રહેલા ખેડૂતોના પારણા કરાવવામાં આવે અને ખેડૂતોની માંગણી સંતોષવામાં આવે તેવી માંગ કરી હતી તેવામાં મામલતદાર કચેરી ખાતે ખેડૂતોને સમજાવવા માટે ભાજપના આગેવાનો આવ્યા હતા તેઓને ખેડૂતોએ ખેડૂતોની માંગણીઓને લઈને ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યાર બાદ હળવદ માર્કેટ યાર્ડ ખાતે વેપારીઓ સાથે મિટિંગ યોજાઈ હતી અને કાલે હળવદ યાર્ડ બંધ રાખીને વેપારીઓ દ્વારા કાર બાઇક રેલી યોજીને જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમથન આપવા જવાન છે તેવી જાહેરાત કરી હતી.
મોરબીના જેતપર ગામે છેલ્લા 13 દિવસથી ખેડૂતો દ્વારા ખાનગી વિજ કંપની પાસેથી વીજપોલ સામે પુરતું વળતર મેળવવા માટે થઈને આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે અને આજની તારીખે ત્યાં મહિલાઓ સહીત નવ વ્યક્તિઓ દ્વારા આમરણાંત ઉપવાસ કરવામાં આવી રહ્યા છે અને આ આંદોલનને ઠેર ઠેરથી લોકોનું સમર્થન મળી રહ્યું છે ત્યારે આજે હળવદ તાલુકાના એક કે બે નહીં પરંતુ 22 જેટલા ગામના સરપંચો અને આગેવાનો દ્વારા હળવદ મામલતદાર કચેરી ખાતે જઈને વળતર બાબતે ચાલતા આંદોલનનો અંત લઈ આવીને ખેડૂતોના પારણા કરાવમાં આવે તેવી માંગ કરી હતી અને ખેડૂત આંદોલનને ખુલ્લુ સમર્થન આપ્યું હતું
દરમિયાન હળવદ મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા આવેલા ખેડૂતોને સમજાવવા માટે મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે, હળવદ માર્કેટ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી, જિલ્લા પંચાયતના ચેરમેન ધર્મેન્દ્ર એરવાડીયા સહિતના આગેવાનો પહોંચ્યા હતા અને સરકાર ખેડૂતોની સાથે છે તેવું આશ્વાસન આપતા હતા પરંતુ ખેડૂતોનો રોષ ચરમશીમાએ હોવાથી ભાજપના આગેવાનોની વાત સાંભળવા ખેડૂતો તૈયાર ન હતા. અને ભાજપના આગેવાનોને ઉગ્ર રજૂઆત કરી હતી કે એક બાજુ જેતપર ગામે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે અને બીજી બાજુ તેના ખેતરમાં પોલીસને આગળ કરીને બળજબરીથી કામ કરવામાં આવે છે આટલું જ નહીં ખેડૂતો પાસેથી તેના 7/12 માંગવામાં આવે છે. આવી ઘટનાઓને લઈને ખેડૂતોમાં ભારે રોષની લાગણી છે.
હળવદ માર્કેટયાર્ડના વેપારીઓ દ્વારા એક મીટીંગ કરવામાં આવી હતી અને ત્યાર બાદ વેપારી મહામંડળના પ્રમુખ વિનુભાઈ પટેલે પત્રકારોને માહિતી આપી હતી કે, જેતપર ગામે 13 દિવસથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેના સમર્થનમાં કાલે હળવદ માર્કેટ યાર્ડ બંધ રહેશે અને અહીથી જેતપર સુધીની વેપારીઓ દ્વારા કાર અને બાઇક રેલી યોજવામાં આવશે. અને જેતપર ગામે ખેડૂતોના આંદોલનને સમર્થન આપવામાં આવશે. અને જો ખેડૂતોનું આંદોલન લાંબુ ચાલશે તો હળવદ માર્કેટ યાર્ડ તેમજ ગામને બંધ રાખવા માટે એલાન આપવામાં આવે તેવી શક્યતા છે.









