મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ૬૭ ઘેટાં ભરેલ બે બોલેરો ગાડી સાથે ચારની ધરપકડ
મોરબીમાં બે જુદીજુદી જગ્યાએથી ગુમ થયેલી યુવતીઓએ લગ્ન કરી લીધા હોવાનું ખુલ્યું
SHARE
મોરબીમાં બે જુદીજુદી જગ્યાએથી ગુમ થયેલી યુવતીઓએ લગ્ન કરી લીધા હોવાનું ખુલ્યું
મોરબી સીટી વિસ્તારના પંચાસર રોડ ઉપરના વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી તેમજ મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામે રહેતા પરિવારની યુવતી થોડા દિવસો પહેલા ગુમ થઈ ગઈ હતી.જે અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને આ બંને બનાવોમાં યુવતીઓએ પ્રેમ લગ્ન કરી લીધા હોવાનું ખુલ્યું હતું.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના પંચાસર રોડ રાજનગર સત્યમ સ્કુલ પાસે રહેતા રાજવીબેન વિપુલભાઈ બોપલિયા ગત તા.૬-૬ ના રોજ ગુમ થઈ ગયા હતા.જે પરત આવતા પોલીસ સમક્ષ નિવેદન આપી જણાવ્યું હતું કે, તેઓને ધવલભાઇ નરભેરામભાઈ આદ્રોજા જાતે પટેલ સાથે પ્રેમ સંબંધ હોય તા.૬-૬ ના રોજ ધવલ ગાડી લઈને આવ્યો હતો અને તેની સાથે ગાડીમાં વડીયા મુકામે જઈને ત્યાં રાજી ખુશીથી લવ મેરેજ કરી લીધેલ છે.આ બાબતે યુવતીના પરિવારજનોને પણ પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા આ બાબતે યુવતીનું નિવેદન નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે અન્ય એક બનાવમાં મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુ કૃપા ટાઉનશિપમાં રહેતા બીપીનભાઈ નથુભાઈ એરવાડીયા (ઉંમર ૪૨) દ્વારા પોલીસમાં જાહેર કરવામાં આવ્યું હતું કે, તેમની પુત્રી અક્ષીતાબેન બીપીનભાઈ એરવાડીયા (ઉંમર ૧૯) વર્ષ તા.૧૦-૬ ના રોજ બાજુના એપાર્ટમેન્ટમાં "રાખડી અને તોરણનો માલ સામાન લેવા માટે જાવ છું" તેમ કહીને ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઈ ગયા હતા.જે અક્ષીતાબેન તા.૧૨-૬ ના રોજ પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા અને નિવેદનમાં તેણીએ જણાવ્યું હતું કે, તેઓના ફ્લેટ પાસે રહેતા કેયુરની સાથે તેઓને પ્રેમ સંબંધ હોય અને રાજીખુશીથી સ્વઇચ્છાએ કેયુરની સાથે તેઓએ લવ મેરેજ કરી લીધા છે.આ બાબતના સર્ટી અને સોગંદનામાં પણ તેઓએ બી ડિવિઝન પોલીસ સમક્ષ રજૂ કરતા સ્ટાફના જગદીશભાઈ ડાંગર દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરવામાં આવી હતી.
અજાણ્યા વૃદ્ધા સારવારમાં
મોરબીના નગર દરવાજા પાસે આવેલ રસની દુકાન પાસે બેભાન થઈ ગયેલ અજાણ્યા ૬૫ વર્ષીય વૃદ્ધાને ૧૦૮ વડે સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જે અંગે હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના ધર્મેન્દ્રભાઈ વાઘડિયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના જુના બસ સ્ટેશન પાસે રહેતા અબ્દુલભાઈ હાજીભાઈ શાહમદાર (ઉંમર ૩૫) અને મહંમદશેખ અબ્દુલભાઈ શાહમદાર (ઉંમર ૧૧) ને મોરબીના વીસી ફાટક પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાં બંનેની સારવાર કરવામાં આવ્યા બાદ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા સ્ટાફના ડી.એ.વાઘડિયા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.