મોરબી એબીવીપી દ્વારા GCAS પોર્ટલના ધાંધીયા મુદે આવેદનપત્ર પાઠવ્યું
માળીયા(મિં.) નજીક બાઇક સ્લીપ થયા બાદ નીચે પટકાયેલ યુવાન ઉપર પાછળથી આવતા ટ્રકના ટાયર ફરી વળતા યુવાનનું મોત
SHARE
માળીયા(મિં.) નજીક બાઇક સ્લીપ થયા બાદ નીચે પટકાયેલ યુવાન ઉપર પાછળથી આવતા ટ્રકના ટાયર ફરી વળતા યુવાનનું મોત
મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકાના માળિયા સીટી નજીક આવેલ ઓનેસ્ટ હોટલ પાસે ગોજારો વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઈક લઈને જતાં યુવાનનું બાઈક સ્લીપ થઈ ગયું હતું.જેથી બાઇક સવાર યુવાન રોડ ઉપર પડી ગયો હતો અને બાદમાં પાછળથી આવતા ટ્રકના ટાયર તે યુવાન ઉપર ફરી વળતા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાથી મોરબી તાલુકાના નીચી માંડલ ગામના યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજયુ હતું.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતા સંજયભાઈ અરજણભાઈ સોલંકી નામના 32 વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ગંભીર ઈજાઓ થવાથી ઘટના સ્થળે જ મોત થયુ હતું.બનાવ સંદર્ભે વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૃતક સંજય સોલંકી કામ સબબ નીચી માંડલથી માળીયા(મિં.) બાજુ ગયો હતો અને ત્યાં તે રસ્તામાં ઓનેસ્ટ હોટલ નજીકથી જતો હતો ત્યારે તેનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયું હતું અને બાદમાં તે રોડ ઉપર નીચે પટકાયો હતો. દરમિયાનમાં તે પાછળથી આવતા ટ્રકના ટાયરમાં આવી જતા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાથી ઘટના સ્થળે જ સંજયભાઇ સોલંકી નામના નીચી માંડલ ગામના યુવાનનું કમકમાટીભર્યું મોત નિપજયુ હતું.જેથી મૃતદેહ અહિંની સિવિલે લવાયા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ હોવાથી પ્રથમ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ અકસ્માત બનાવની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને આગળની વધુ તપાસ અર્થે માળીયા મીંયાણા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રો દ્રારા જણાવવામાં આવેલ છે.
મહિલા સારવારમાં
મોરબીના શનાળા-કંડલા બાયપાસ પાસે આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા અંજનાબેન નરેન્દ્રભાઈ ચાડમીયા નામના 54 વર્ષીય મહિલાને વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના કંડલા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ પાસેથી તેઓ બાઈકમાં પાછળના ભાગે બેસીને જતા હતા.ત્યારે રસ્તામાં તેઓ બાઈકના પાછળના ભાગેથી નીચે પડી ગયા હતા જે બનાવમાં તેમને ઇજા થતા સારવાર માટે ખસેડાયા હતા હાલ આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.કે.પટેલ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઈ છે.
આધેડ સારવારમાં
મોરબીના રહેવાસી વિરેન્દ્રભાઈ મગનભાઈ કગથરા નામના 64 વર્ષીય આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા અહિંની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેઓ મોરબીના નવા બસ સ્ટેશન સામે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસેથી વાહનમાં જતા હતા ત્યાં વાહન અકસ્માતના બનાવમાં તેમને ઇજાઓ થઈ હતી.જેથી સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા અને બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.
પતિએ માર મારતા સારવારમાં
મોરબીના જોધાણીની વાડી વિસ્તાર પાસે આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતા વર્ષાબેન રામજીભાઈ ચાવડા નામના 35 વર્ષીય મહિલાને તેમના પતિ દ્વારા માર મારવામાં આવતા અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાં તેમની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા હાલ મારામારીના કારણ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.