નવનિર્માણ આંદોલનને 20 મીએ 50 વર્ષ પૂર્ણ: મોરબી ABVP દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન
મોરબી જીલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસો. દ્વારા નવા સૂચિત જંત્રી દરનો વિરોધ: સ્ટેમ્પ ડ્યુટીમાં પણ ઘટાડો કરવાની પણ માંગ
SHARE
સરકાર દ્વારા સૂચિત નવાજંત્રી દર જાહેર કરવામાં આવ્યા છે જેનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા બિલ્ડર્સ લેન્ડ ડેવલોપર એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને સરકાર દ્વારા જે નવા સુચિત જંત્રીદર જાહેર કરવામાં આવ્યા છે તેમાં ઘણી બધી વિસંગતતા હોય તેને દૂર કરવામાં આવે તેમજ સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવામાં આવે તે સહિતની રજૂઆતો કરવામાં આવેલ છે અને જો હાલમાં જાહેર કરેલા નવા સૂચીત જંત્રી દરને અમલમાં મૂકવામાં આવે તો મિલકતોના ભાવ તથા ટેક્સમાં તોતિંગ વધારો થશે જે સામાન્ય લોકો માટે મોટી મુશ્કેલી ઉભી કરશે.
થોડા સમય પહેલા જ સરકારે જંત્રીદારના બમણા ભાવ કર્યા છે ત્યારબાદ સરકારે હાલમાં જંત્રી દરમાં 200થી લઈને 2000 ટકા જેટલો વધારો કર્યો છે અને નવા સૂચિત જંત્રી દર ગત તારીખ 20/11/2024 ના રોજ જાહેર કરવામાં આવેલ છે જોકે તેમાં જે તે વિસ્તારની હાલની બજારની વાસ્તવિક સ્થિતિ કરતાં પણ વધુ જંત્રી દર દર્શાવવામાં આવ્યા છે અને બાજુ બાજુના ગામડાઓની અંદર પણ જંત્રી દરમાં તોતિંગ તફાવત જોવા મળી રહ્યો છે જેથી કરીને હાલમાં જાહેર કરવામાં આવેલા નવા સૂચિત જંત્રી દર ની અમલવારી થાય તો ખેડૂતો, બિલ્ડરો તેમજ મિલકતો લેનાર વ્યક્તિઓની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે તેમ છે જેથી જંત્રી દરમાં વૈજ્ઞાનિક પદ્ધતિએ જરૂરી સુધારા વધારા કરવામાં આવે તેમજ ખેડૂતથી લઈને મિલકત વપરાશ કરતાં સુધીના લોકો ઉપર આર્થિક ભારણ ન વધે અને રાજ્યનો વિકાસ ન રૂંધાઇ તે રીતે જંત્રી દર નક્કી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથે મોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર એસોસિએશનના પ્રમુખ સંતોષભાઇ સેરશિયાની આગેવાનીમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ તકે મોરબીના અગ્રણી બિલ્ડર પરેશભાઇ પટેલે જણાવ્યુ હતુ કે નવા સુચિત જંત્રી દરમાં ઘણી વિસંગતતા છે તેને દુર કરવી જોઇએ તેની સાથોસાથ અન્ય રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી માત્ર એક ટકો લેવામાં આવે છે જોકે ગુજરાતની અંદર સ્ટેમ્પ ડ્યુટી 6 ટકા લેવામાં આવે છે તેમાં પણ ઘટાડો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે અને હાલમાં જે નવા સુચિત જંત્રીદર જાહેર કરવામાં આવ્યા છે તે તૈયાર કરતી વખતે ખેડૂતો, પ્રજા અને બિલ્ડરોને પડતી મુશ્કેલીઓને નજર અંદાજ કરવામાં આવી હોવાથી તે સમગ્ર બાબતોને ધ્યાન ઉપર લઈને મોરબી જિલ્લામાં જે તે વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિ અને બજાર કિંમતને ધ્યાને લઈને સાયન્ટિફિક રીતે જંત્રી દરો પારદર્શક રીતે લોકાભીમુખ બને તેવી લાગણી મોરબી જિલ્લાના લોકો વતી મોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપર એસોસિએશનના પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે.
મોરબીના અગ્રણી બિલ્ડર શામજીભાઈ રંગપરીયા એ જણાવ્યું હતું કે હાલમાં બાંધકામ ક્ષેત્રે પણ મંદિરની અસર જોવા મળી રહી છે અને તેવા સમયે જો નવા સૂચિત જંત્રીદરની અમલવારી શરૂ કરવામાં આવશે તો બિલ્ડરો સહિત તમામ લોકોને મુશ્કેલી વધશે અને બાંધકામ ક્ષેત્રે મંદી આવશે તો લોકોની રોજગારી અને અનેક પ્રશ્નો ઊભા થઈ શકે છે વર્તમાન સમયમાં ચોમેર તેજીની વાતો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિક રીતે દરેક લોકો મંદીની અસરનો સામનો કરી રહ્યા છે આવા સમયે લોકો ઉપર આર્થિક બોજો ન વધે તે માટે થઈને સરકાર દ્વારા જે નવા સૂચીત જંત્રી દરો જાહેર કરવામાં આવ્યા છે તેની અમલવારીને હાલ પૂરતી મોકૂફ કરવામાં આવે અને જરૂરી સુધારા વધારા કરવામાં આવે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી