મોરબી જીલ્લામાં ખેડૂતોને ડીએપી ખાતર મળતું નથી !, વરસાદ પછી ખાતર મળે તો કોઈ કામનું નહિ: ખેડૂતો
SHARE
મોરબી જીલ્લામાં ખેડૂતોને ડીએપી ખાતર મળતું નથી !, વરસાદ પછી ખાતર મળે તો કોઈ કામનું નહિ: ખેડૂતો
મોરબી જિલ્લામાં ચોમાસું પાકનું વાવેતર કરવા માટે ખેડૂતો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે જોકે, ખેડૂતોને હાલમાં ડીએપી ખાતર મળતું નથી જેથી ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને જો સમયસર વરસાદ પહેલા ખેડૂતોને ખાતર નહીં મળે તો ખેડૂતો ચોમાસુ પાક ન લઈ શકે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે
દર વર્ષે ચોમાસા પહેલા ખેડૂતોને ડીએપી ખાતરની જરૂર હોય છે તેની સરકાર અને અધિકારીઓને જાણ હોવા છતાં પણ ડીએપી ખાતર માટેની આગોતરી વ્યવસ્થા કરવામાં આવતી નથી જેના કારણે ખેડૂતોને ખરા સમયે જ્યારે ખાતરની જરૂર હોય છે તે સમયે ખાતર મળતું નથી અને જેથી ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે આવી જ પરિસ્થિતિનું નિર્માણ મોરબી જિલ્લામાં થયેલ છે.
મોરબી જિલ્લામાં છેલ્લા દસ દિવસ કરતા વધુ સમયથી ડીએપી ખાતર ખેડૂતોને કોઈ જગ્યાએથી મળતું નથી જેથી ડીએપી ખાતર મેળવવા માટે ખેડૂતો જુદી જુદી જગ્યા ઉપર રજળપાટ કરતા હોય છે તો પણ ખાતર મળતું નથી અને તે જગ્યાએ ખાતર આપવામાં આવે જે ત્યાં ડીએપી નહીં પણ બીજું ખાતર હોય છે અને તેની સાથે બિનજરૂરી ખાતર પણ ધરાહાર આપવામાં આવે છે. જેથી ખેડૂતોને નુકસાની સહન કરવી પડે છે તેવુ ખાતર લેવા આવેલા ખેડૂત ધરમશીભાઈ પટેલ અને યોગેશભાઈ ગોધવીયાએ જણાવ્યુ હતું.
આટલું નહીં પરંતુ ચોમાસાનું વાવેતર કરતાં ખેડૂતોને જો ચોમાસા પહેલા વાવેતર કરતા હોય ત્યારે ડીએપી ખાતર મળ્યું હોય તો સમયસર વાવેતર થાય અને ચોમાસામાં ખેડૂતો પોતાના ખેતરમાંથી સારો પાક મેળવી શકે છે પરંતુ જો ચોમાસાનો વરસાદ થઈ જાય ત્યારબાદ ખેડૂતો પોતાના ખેતરની અંદર ખેતી કામ કરી શકતા નથી ત્યાર પછી જો ડીએપી ખાતર ખેડૂતોને મળે તો તે કોઈ કામનું નથી.
મોરબી માર્કેટ યાર્ડના માજી ચેરમેન અને ખેડૂત આગેવાન મગનભાઈ વડાવિયાએ જણાવ્યુ હતું કે, હાલમાં મોરબી નહીં સમગ્ર ભારતમાં ડીએપી ખાતર મળતું નથી જેથી કરીને સરકાર વહેલી તકે ડીએપી ખાતર માટેની વ્યવસ્થા કરે તે જરૂરી છે. અને કૃભકો દ્વારા જે ખાતરની શીપ મંગાવવામાં આવેલ છે તે આગામી તા 10 સુધીમાં આવશે ત્યાર બાદ કેન્દ્ર સરકાર દ્વારા જ તેનું વિતરણ કરવામાં આવશે. ઉલેખનીય છે કે, ખેડૂતોને વહેલામાં વહેલી તકે ડીએપી ખાતર મળે તો જ તેઓને ફાયદો થશે નહીં તો કોઈ ફાયદો થશે નહીં તે નિશ્ચિત છે.
મોરબી જીલ્લામાં ખેડૂતોને D.A.P ખાતરનો પુરતો જથ્થો આપવા કાંતિભાઈ બાવરવાની માંગ
મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના ગુજરાત પ્રદેશના પ્રમુખ કાંતિભાઈ બાવરવા દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હાલમાં ખેડૂતો ચોમાસું પાક માટેની તૈયારી કરી રહ્યા છે. અને લગભગ ૧૫ દિવસમાં ચોમાસું સક્રિય થઈ જશે. તેવા સમયે મોરબી જિલ્લાના ખેડૂતો આજની તારીખે ડીએપી ખાતર માટે હેરાન છે અને તેઓને ખાતર મળી રહ્યું નથી. જેથી તાત્કાલિક ડીએપી ખાતરની વ્યવસ્થા કરીને ખેડૂતોને પુરતો જથ્થો આપવામાં આવે તેવી માંગ કરી છે અને જો ખાતર નહિ મળે તો ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલનાત્મક કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી છે.









