મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને અંતિમ પગલુ ભર્યાના બનાવમાં વધુ બે આરોપી ઝડપાયા: બંને જેલ હવાલે
SHARE








મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા: બંને જેલ હવાલે
મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વેપારી યુવાને ઝેરી દવા પી લીધી હતી અને તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જો કે, યુવાને આપઘાત કરતા પહેલા ત્રણ પાનાની સુસાઇટ નોટ લખી હતી તેની ખરાઈ કરાવવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુલ 11 શખ્સોની સામે ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં વધુ બે આરોપીને પકડીને પોલીસે કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે.
મોરબીમાં આવેલ વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ હરેશભાઈ મકવાણા (36)એ થોડા સમય પહેલા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુલ 11 વ્યજખોરોની સામે પોતાના ભાઈને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ફરિયાદીના ભાઈ નિલેશભાઈ હરેશભાઈ મકવાણાને ઠંડાપીણા કોલ્ડ્રિંકની સેલ્સ એજન્સીનો વેપાર હતો અને નવલખી રોડ ઉપર આવેલા હિતેશ માર્કેટિંગ કોલ્ડ્રીંક્સ સેલ્સ એજન્સી નામની ઓફિસથી તેઓ વેપાર ધંધો કરતા હતા અને તેઓને પોતાના ધંધાના કામ માટે રૂપિયાની જરૂર પડતા આરોપીઓ પાસેથી તેણે અલગ અલગ સમયે જુદી જુદી રકમ વ્યાજે લીધેલી હતી અને વ્યાજ સહિતના પૈસા ચૂકવી દીધેલ હોવા છતાં પણ યેનકેન પ્રકારે આરોપીઓ દ્વારા ફરિયાદીના ભાઈ નિલેશભાઈને હેરાન કરવામાં આવતા હતા જેથી વ્યાજખોરોના ત્રાંસથી કંટાળીને નિલેશભાઈએ પોતે પોતાની ઓફિસની અંદર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જે ગુનામાં પહેલા પોલીસે આરોપી મયુરસિંહ બહાદુરસિંહ સરવૈયાની ધરપકડ કરી હતી ત્યાર બાદ આ ગુનામાં તપાસનીસ અધિકારી એન.એ. વસાવા અને તેની ટીમે આરોપી નિલેશભાઈ વિપુલભાઈ ભીમાણી (29) રહે. સ્વપ્ન સોસાયટી કામરેજ સુરત અને રવિભાઈ દેવાભાઈ ડાંગર (30) રહે. અમ્રુતપાર્ક સોસાયટી નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે.

