મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેરના સરતાનપર રોડ પર પ્રોપેન ગેસ લીકેજના સિનેરિયો આધારિત મોક ડ્રીલ યોજાઈ
SHARE
મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેરના સરતાનપર રોડ પર પ્રોપેન ગેસ લીકેજના સિનેરિયો આધારિત મોક ડ્રીલ યોજાઈ
ફાયર, પોલીસ, ૧૦૮ અને ઔદ્યોગિક સલામતી વિભાગ સહિતની ટીમોએ નિયત સમયમર્યાદામાં હાથ ધર્યું રાહત-બચાવ કાર્ય
કોઈપણ આકસ્મિક ઔદ્યોગિક દુર્ઘટના કે આપત્તિ સમયે વહીવટી તંત્રની સજ્જતા અને ત્વરિત પ્રતિભાવ ક્ષમતા ચકાસવાના હેતુથી મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ ‘EMBITO Granito LLP’ કંપની ખાતે પ્રોપેન ગેસ લીકેજના સિનેરિયો ઉપર એક મોક ડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.મોક ડ્રીલના સિનેરિયો મુજબ, કંપનીમાં ગેસ ઓપરેટિંગ કરતી વખતે પ્રેશર વધી જતાં ગેસ લીકેજની ક્ષતિ ઊભી થઈ હતી અને બે કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. કંપનીના ફાયર સેફ્ટી ઓફિસર દ્વારા વોટર સ્પ્રિંકલર વડે આગ અને લીકેજ કાબૂમાં લેવાના પ્રાથમિક પ્રયાસો નિષ્ફળ જતાં આ અંગે મોરબી જિલ્લા કંટ્રોલરૂમને તુરંત જાણ કરવામાં આવી હતી. કંટ્રોલરૂમની આપત્તિજનક સૂચના મળતાં જ મોરબી મહાનગરપાલિકાની ફાયર ટીમ, પોલીસ પ્રશાસન, ગુજરાત ગેસ, જી.પી.સી.બી. (GPCB), ૧૦૮ એમ્બ્યુલન્સ અને ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના અધિકારીઓ અને કર્મચારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા.
નિવાસી અધિક એસ.જે. ખાચરના માર્ગદર્શન અને સઘન દેખરેખ હેઠળ સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશન નિયત સમયમર્યાદામાં અને અત્યંત પદ્ધતિસર રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, વાંકાનેર મામલતદારની ટીમ, DISH ના નાયબ નિયામકની કચેરી અને પર્યાવરણ વિભાગની ટીમોએ સંયુક્ત પરિસ્થિતિ સંભાળીને ગેસ લીકેજ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો, જ્યારે ઈજાગ્રસ્ત કર્મચારીઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ત્વરિત સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ સમગ્ર પ્રક્રિયામાં વહીવટી સંકલન અને વિવિધ લાઇન ડિપાર્ટમેન્ટ્સની સક્રિયતા પ્રશંસનીય રહી હતી.આ મોક ડ્રીલમાં મોરબી જિલ્લામાં પ્રથમ વાર શરૂ કરાયેલી 'યુવા આપદામિત્ર સ્કીમ' હેઠળ હાલ મકનસર પોલીસ હેડક્વાર્ટર ખાતે તાલીમ મેળવી રહેલા એન.એસ.એસ.અને ‘મેરા યુવા ભારત’ ના તાલીમાર્થી યુવાનોને પણ આ ઓપરેશનમાં પ્રત્યક્ષ સામેલ રાખવામાં આવ્યા હતા. આ નવતર પ્રયોગનો મુખ્ય આશય યુવા આપદામિત્રો ભવિષ્યમાં જિલ્લામાં બનતી કોઈપણ આપત્તિ સમયે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી ફિલ્ડ કામગીરી, કમાન્ડ સ્ટ્રક્ચર અને બચાવ રાહતની ટેકનિકોથી પ્રત્યક્ષ રીતે વાકેફ થાય તેમજ આપત્તિ સમયે તંત્રના સહભાગી બની ત્વરિત અને સકારાત્મક પ્રતિભાવ આપી શકે તે માટેનો હતો.
મોરબી (શહેર) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨ જુલાઈના રોજ યોજાશે
લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી (શહેર) તાલુકા કક્ષાએ યોજાતો જાન્યુઆરી-૨૦૨૬ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.૨૨/૦૭/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મોરબી શહેર મામલતદાર કચેરી, એન.સી.સી. કમ્પાઉન્ડ વેજીટેબલ રોડ ખાતે યોજાશે.સરકારી કર્મચારીઓનાં નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમ હેઠળ રજૂ કરી શકાશે નહીં. અરજકર્તાનો પ્રશ્ન પોતાનો હશે તો જ ધ્યાને લેવાશે અન્યના પ્રશ્ન, કોર્ટ મેટરને લગતા પ્રશ્નો, દાવાઓ, આક્ષેપો તથા અંગત રાગદ્વેષને લગતા પ્રશ્નો તથા અગાઉ ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ માં લેવાઈ ગયેલા પ્રશ્નો રજૂ કરી શકાશે નહીં કે ધ્યાને લેવાશે નહી જેની અરજદારોને નોંધ લેવા મોરબી મામલતદારશ્રી – શહેરની યાદીમાં જણાવાયું છે.