મોરબીમાં 3 સોસાયટીના રોડનું કામ ન કરવામાં આવતા મહિલાઓ સહિતના લોકોએ થાળી વેલણ વગાડીને રવાપર ચોકડી કર્યો ચક્કાજામ
SHARE
મોરબીમાં 3 સોસાયટીના રોડનું કામ ન કરવામાં આવતા મહિલાઓ સહિતના લોકોએ થાળી વેલણ વગાડીને રવાપર ચોકડી કર્યો ચક્કાજામ
મોરબીના રવપર ગામે અગાઉ ગ્રામ પંચાયત હતી ત્યારે ઠરાવ કરીને 3 સોસાયટીના રોડ રસ્તાના કામ મંજૂર કરવામાં આવ્યા હતા પરંતુ આજની તારીખે તે કામ મહાપાલિકા દ્વારા કરવામાં આવ્યા નથી જેથી કરીને મહાનગરપાલિકાની સામે રોષ વ્યક્ત કરવા માટે રવાપર ચોકડીએ મહિલાઓ દ્વારા થાળી વેલણ વગાડીને તંત્રને જગાડવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને જુદી જુદી ત્રણ સોસાયટીની મહિલાઓ સહિતના લોકો દ્વારા રોડને ચક્કાજામ કરી દેવામાં આવેલ છે. અને મહાપાલિકાના મેયર તથા કમિશનર સ્થળ ઉપર આવીને કામ વહેલી તકે કરવાની ખાતરી ન આપે ત્યાં સુધી ચક્કજામ યથાવત રાખવાની ચીમકી લોકોએ ઉચ્ચારી છે.
મોરબીમાં જાણે કે ચક્કાજામ કે વિરોધ પ્રદર્શન ન કરવામાં આવે ત્યાં સુધી તંત્રને કામ કરવાનું યાદ આવતું જ નથી તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. આજે મોરબીના રવાપર ગામે રહેતા લોકો દ્વારા રવાપર ઘુનડા રોડ ઉપર ગોલ્ડન માર્કેટ પાસે પહેલા ચક્કજામ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે તમામ લોકો મોરબીની રવાપર ચોકડીએ પહોંચ્યા હતા અને ત્યાં મહિલાઓ દ્વારા થાળી વેલણ વગાડીને મહાપાલિકા તંત્રને જગાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને રોડને ચક્કાજામ કરી દેવામાં આવેલ હતો.
ખાસ કરીને સ્થળ ઉપર આવેલા લોકોએ જણાવ્યુ હતું કે, રવાપર ગામે આવેલ નીતિન પાર્ક, વૈભવ નગર અને ચિત્રકૂટ સોસાયટીમાં રોડ રસ્તા બનાવવા માટેનું કામ રવાપર ગ્રામ પંચાયત હતી ત્યારે મંજૂર થયું હતું જો કે, રવાપર ગ્રામ પંચાયતનો મહાનગરપાલિકામાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે જેથી તે કામ થયા ન હતા અને ત્રણેય સોસાયટીની અંદર રોડ રસ્તા બનાવવા માટેના કામના જે ઠરાવ પંચાયતમાં કરવામાં આવ્યા હતા તે મહાપાલિકાના કમિશનરને અગાઉ આપવામાં આવ્યા હતા ત્યારે ત્રણેય સોસાયટીના રોડના કામ કરી દેવામાં આવશે તેવું કહેવામા આવ્યું હતું.
જોકે મહાપાલિકા અસ્તિત્વમાં આવી તેને દોઢ વર્ષ જેટલો સમય થઈ ગયો છે તેમ છતાં પણ હજુ સુધી આ ત્રણેય સોસાયટીમાં રોડ બનાવવામાં આવેલ નથી જેથી મહિલાઓ સહિતના લોકો પ્રથમ રવાપર ઘુનડા રોડ ઉપર થાળી વેલણ ચક્કાજામ કર્યો હતો બાદમાં તમામ લોકો રવાપર ચોકડીએ પહોંચ્યા હતા અને ત્યાં સવારના સમયે ટ્રાફિકની ખૂબ અવરજવર રહેતી હોય છે તે ચોકડીને ચક્કાજામ કરી દેવામાં આવી હતી અને જ્યાં સુધી મેયર તથા કમિશનર સ્થળ ઉપર આવીને નીતિન પાર્ક, વૈભવનગર અને ચિત્રકૂટ સોસાયટીમાં રોડ વહેલી તકે કરવાની ખાતરી નહીં આપે ત્યાં સુધી ચક્કાજામ રહેશે તેવી ચીમકી લોકોએ ઉચ્ચારી હતી.









